થાનઃ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા અચારન પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ ચેકિંગ દરમિયાન થાન તાલુકાના અમરાપર ગામમાં આવેલી પ્રાથિમક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર 13માં ગેરરીતિ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતાં. જેથી ડેપ્યુટી કલેક્ટર એચ. ટી. મકવાણાએ તાત્કાલિક અસરથી સંચાલક અનિલભાઇ અને રસોયા મીઠીબેનને ફરજમુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ ચેકિંગ દરમિયાન સંચાલક અનિલભાઇ અને રસોયા મીઠીબેન કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જ રજા પર ઉતરી ગયાં હતાં.
વર્ધી બુકમાં બાળકોની ખોટી સંખ્યા દર્શાવવામાં આવી
ઘટનાની વાત કરવામાં આવે તો, પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર 13માં 185 બાળકોએ ભાજન લીધું હોવાનું વર્ધી બુકમાં દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે ડેપ્યુટી કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા રૂપરૂ જઈને તપાસ કરવામાં આવી ત્યારે માત્ર 153 બાળકોએ જ ભોજન લીધું હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કે, વર્ધી બુકમાં 32 બાળકોની સંખ્યા વધારે દર્શાવવામાં આવી હતી. સરકારી અનાજનો દુરુપયોગ કરવામાં બદલ સંચાલક અને રસોયા ફરજમુક્ત કરી દેવામાં આવ્યાં છે. આ કાર્યવાહીના કારણે અન્ય મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

સંચાલક અને રસોયા ફરજમુક્ત કરવા ડેપ્યુટી કલેક્ટરનો આદેશ
સરકારી નિયમ પ્રમાણે મધ્યાહ્નભોજનમાં વિદ્યાર્થી દીઠ 50 ગ્રામ સુખડી બનાવવા 20 ગ્રામ લોટ, 10 ગ્રામ ખાંડ, 15 ગ્રામ તેલ અને 5 ગ્રામ સીંગનું સીધું આપવામાં આવે છે. પરંતુ ચેકિંગ સમયે માત્ર 3.700 કિ.ગ્રામ સુખડી બનાવવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેથી બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં મોટી ગેરરીતિ પ્રકાસમાં આવી હતી. મહત્વની વાત એ છે કે, પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર 13નો સંચાલક એન.અંદાણી છેલ્લા 20 વર્ષથી આ મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર 13નું સંચાલન કરતો હતો.