દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો, અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ
ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે પેટ્રોલ પંપો પર ગ્રાહકોની લાંબી લાઈનો લાગી છે. જેના પગલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબતે દર બે દિવસે આ બાબતનો ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે.
મિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર, વધુ બે એલપીજી જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. જેમાં શિપ-ટ્રેકિંગ ડેટા અનુસાર બે ભારતીય ધ્વજવાળા LPG ટેન્કર - પાઈન ગેસ અને જગ વસંત - સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ ગયા છે. સોમવારે બપોરે બંને જહાજો ઈરાની ટાપુઓ લારક અને કેશ્મ વચ્ચે જોવા મળ્યા હતા. જ્યાં ઈરાની અધિકારીઓને તેની તપાસ કરી રહ્યા હતા.
ઈરાન સામેના યુદ્ધમાં ટ્રમ્પે લગાડી બ્રેક!
ઈરાન સામે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, હાલ પૂરતા ઈરાન પરના તમામ સૈન્ય હુમલાઓ રોકી દેવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી ઈરાન સાથે ખૂબ જ હકારાત્મક ચર્ચા થઈ છે અને આગામી એક અઠવાડિયા સુધી આ મંત્રણાઓ ચાલુ રહેશે. યુદ્ધના મેદાનને બદલે હવે સમાધાનના ટેબલ પર ભાવિ રણનીતિ નક્કી કરવામાં આવશે.
પ્રયાગરાજમાં મોટી દુર્ઘટનાઃ નવ શ્રમિકનાં મોત
પ્રયાગરાજના ફાફામઉ ક્ષેત્રમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી હતી, જ્યારે એક કોલ્ડ સ્ટોરેજની દીવાલ અચાનક ધરાશાયી થઈ. આ દુર્ઘટનામાં નવ શ્રમિકનાં મૃત્યુ થયા છે. એમોનિયા ગેસની પાઈપ ફાટવાને કારણે ગેસ લીકેજની દુર્ઘટના ઘટી હોવાનું પ્રશાસને જણાવ્યું.
રાઘવ ચઢ્ઢાએ ટેલીકોમ કંપનીઓને ન વપરાયેલા ડેટા મુદ્દે ઘેરી
દેશની ટેલીકોમ કંપનીઓના નિયમોનો ખુલ્લેઆમ વિરોધ કરી રહેલા રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ટેલીકોમ કંપનીઓને વધુ એક સવાલમાં ઘેરી છે. તેમણે એક્સ પર ટેલીકોમ કંપનીઓ દ્વારા ગ્રાહકોના ન વપરાયેલા ડેટાને રીસેટના નામે ગાયબ કરી દેવાના કંપનીના નિયમ સામે સવાલ ઉઠાવ્યો છે.
પશ્વિમ એશિયા સંકટ પર પીએમ મોદીએ લોકસભામાં સંબોધન કર્યું, કહ્યું યુદ્ધનું સમાધાન માત્ર વાતચીતથી શક્ય
અમેરિકા -ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 24 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ભારત સામે પણ અનેક પડકારો ઉભા થયા છે. ત્યારે પીએમ મોદીએ આજે લોકસભામાં પશ્વિમ એશિયાના યુદ્ધ પર સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત યુદ્ધના લીધે ઉભી થયેલા પડકારોનો સામનો કરી રહ્યું છે.તેમણે કહ્યું કે ભારત માટે તેમના નાગરિકોની સુરક્ષા પ્રાથમિકતા છે. પીએમ મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું જે યુદ્ધનું સમાધાન માત્ર વાતચીતથી શક્ય છે.
અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકાની મતદાર યાદી પ્રસિદ્ધ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકા, 72 નગરપાલિકા, 42 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેના પરથી ગમે ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે તેવી અટકળો શરૂ થઈ છે.
ભાવનગરમાં સવારથી અસામાજિક તત્વોના રહેણાંક મકાનોનું ડિમોલિશન
ભાવનગરમાં આજે સવારથી અસામાજિક તત્વોના રહેણાંક મકાનો પર બુલડોઝર કાર્યવાહી શરૂ થઈ છે. શહેરના આડોડીયા વિસ્તારમાં આવેલા આરોપીઓના રહેણાંક મકાનોને તોડવાના શરૂ કરવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ખુલતાની સાથે શેરબજારમાં ગાબડું, સેન્સેક્સ 1,281 પોઈન્ટ તુટ્યો
આજે ભારતીય શેર બજાર પર કારોબાર શરુ થતાની સાથે જ મોટું ગાબડું પડ્યું હતું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 800 પોઈન્ટના ઘટાડા સાથે 73,732 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 290 પોઈન્ટના ઘટાડા સાથે 22,824 પર ખુલ્યો. બજાર ખુલતાન થોડી જ વારમાં સેન્સેક્સ 1,281 પોઈન્ટના ઘટાડા સાથે 73,254 પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 400 પોઈન્ટના ઘટાડા સાથે 22,714 પર પહોંચી ગયો.
રાહુલ ગાંધી આજે ગુજરાતી મુલાકાતે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલા આજે લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી બપોરે 2 વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચશે. આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધી આજે વડોદરામાં સંવાદ કરશે.
અબુધાબીમાં મિસાઈલનો કાટમાળ પડતાં ભારતીય ઘાયલ
યુએઈની રાજધાની અબુધાબીમાં મિસાઈલ હુમલા દરમિયાન કાટમાળ પડવાથી એક ભારતીય નાગરિકા ઘાયલ થયો છે. અબુધાબી મીડિયા ઓફિસ મુજબ, એર ડિફેન્સ સિસ્ટમે બેલિસ્ટિક મિસાઈલને હવામાં જ તોડી પાડી હતી. કાટમાળ શાવામેખ વિસ્તારમાં પડ્યો હતો. જેનાથી સ્થાનિકો અને આસપાસના લોકોમાં ફફડાટે ફેલાયો હતો. ઘાયલ ભારતીય નાગરિકને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરાયો છે અને હાલત સ્થિર છે.
