મુંબઈઃ એનસીપી (એસપી)ના નેતા અનિલ દેશમુખે મહારાષ્ટ્રના રાજ્યપાલને વિનંતી કરી કે તેઓ રાજ્ય સરકારને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરનારા ચાંદીવાલ કમિશનના અંતિમ અહેવાલને જાહેર કરવા નિર્દેશ આપે.
રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માને લખેલા પત્રમાં, રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન, દેશમુખે જણાવ્યું હતું કે સરકારે રિપોર્ટ પ્રાપ્ત થયાના ચાર વર્ષ પછી પણ તેને જાહેર કર્યો નથી. રાજ્ય સરકારે "100 કરોડ રૂપિયાના ખંડણી કેસ" સંબંધિત આરોપોની તપાસ માટે નિવૃત્ત બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ કે યુ ચાંદીવાલના નેતૃત્વ હેઠળના કમિશનની નિમણૂક કરી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
માર્ચ 2021માં તત્કાલીન મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં, પરમ બીર સિંહે આરોપ લગાવ્યો હતો કે દેશમુખે પોલીસ અધિકારીઓ માટે માસિક 'કલેક્શન' રૂ. 100 કરોડનો લક્ષ્યાંક રાખ્યો હતો. બોમ્બે હાઈ કોર્ટે પ્રારંભિક સીબીઆઈ તપાસનો આદેશ આપ્યા બાદ દેશમુખે રાજીનામું આપ્યું હતું. દેશમુખે રાજ્યપાલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, કમિશને 26 એપ્રિલ, 2022 ના રોજ તેનો 1400 પાનાનો અંતિમ અહેવાલ સુપરત કર્યો હતો.
તેમણે અહેવાલ પ્રકાશિત કરવા માટે મુખ્ય પ્રધાનને 11 પત્રો લખ્યા હતા અને સંબંધિત વિભાગોના મુખ્ય સચિવ અને સચિવોને પણ પત્રો લખ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. એનસીપી (એસપી) નેતાએ ઉમેર્યું હતું કે, કમિશનના તારણો, અવલોકનો અને ભલામણો તેમની સામેના આરોપો સાથે સીધા સંબંધિત હતા અને તેમના જાહેર અને વ્યક્તિગત અધિકારોને લગતા હતા.
દેશમુખે એ પણ જાણવાની માંગ કરી હતી કે કમિશનના તારણો પર સરકારે શું પગલાં લીધાં છે અને રાજ્ય વિધાનસભા સમક્ષ રિપોર્ટ કેમ રજૂ કરવામાં આવ્યો નથી. તેમણે રાજ્યપાલને વિનંતી કરી કે તેઓ રાજ્ય સરકારને સંપૂર્ણ રિપોર્ટ પ્રકાશિત કરવા અને તેને જાહેર કરવામાં વિલંબ પાછળના કારણોની તપાસ કરવા નિર્દેશ આપે.