અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે હાથ ધરાયેલા મહત્ત્વના બ્રિજ પ્રોજેક્ટોની કામગીરીને વધુ ગતિ આપવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા પાંજરાપોળ ચાર રસ્તા તથા બૂટ ભવાની રેલવે ક્રોસિંગ ખાતે નિર્માણાધીન બ્રિજના કામોની સ્થળ મુલાકાત કરવામાં આવી. આ દરમિયાન કમિશનરે બ્રિજ સંબંધિત કામને લઈને જરૂરી સૂચનો આપ્યા હતા. બ્રિજની કામગીરીનું બારીકીથી નિરિક્ષણ કર્યું હતું.
ટીમ સાથે નિરિક્ષણ કર્યું
આ મુલાકાત દરમિયાન અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી કામ ઝડપી ગતિએ, ગુણવત્તાસભર રીતે તથા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવ્યા હતા.આ કામગીરી દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી અગવડતા પડે તે માટે પણ સંબંધિત અધિકારીઓને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા.ખાસ કરીને દિવસના પિકઅવર્સમાં ટ્રાફિકની સમસ્યાઓ હળવી થાય અને જેમ કામ ખતમ થાય એમ વૈકલ્પિક રસ્તા ફ્રી કરવા માટે વાત કહી હતી. કમિશનરે આ નિર્માણાધીન બ્રિજના લોકેશન પર સમગ્ર પ્રોજેક્ટ મેપ અને એન્જિનીયર્સની ટીમ સાથે નિરિક્ષણ કર્યું હતું. મેપમાંથી જે તે બ્રિજના કામ, પિલ્લર્સ અને મેજર જોઈન્ટ અંગે પણ જરૂરી માહિતી મેળવી હતી. પાંજરાપોળ ચાર રસ્તા અને બૂટ ભવાની રેલવે ક્રોસિંગ ખાતે નિર્માણાધીન બ્રિજના કામ અંગે જરૂરી સૂચનો પણ કર્યા હતા.

જરૂરી આદેશ આપવામાં આવ્યા
આ બ્રિજ તૈયાર થઈ જતા છેક આંબાવાડી સુધીની ક્નેક્ટિવિટી સરળ બની રહેશે, ખાસ કરીને બ્રિજના છેડે થતા ટ્રાફિક જામમાંથી મોટી મુક્તિ મળી રહેશે. બીજી તરફ હાલમાં જે ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે એમાં ઝડપથી ટ્રાફિકમાંથી લોકોને રાહત મળે એ માટે જરૂરી એડવાઈઝ પણ આપી હતી. હાલમાં આઈઆઈએમથી પાંજરાપોળ વચ્ચે ખાસ કરીને નીચેના રસ્તે બ્રિજના કામને લઈને ટ્રાફિકજામ થઈ રહ્યો છે. આ બ્રિજની કામગીરી ઝડપથી પૂરી થાય એ માટે પણ જરૂરી આદેશ આપવામાં આવ્યા છે.