અમદાવાદ: ધૂળેટીના દિવસે અમદાવાદના ફરવા લાયક સ્થળ પર જવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. કારણ કે ધૂળેટીના દિવસે સાંજ સુધી અમદાવાદમાં પ્રવાસીઓનું આકર્ષણ રહેતા અમુક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધૂળેટીના દિવસે કયા કયા સ્થળ બંધ રહેવાના છે તેના વિશે જાણી લેજો, બાકી આવતીકાલે ધરમ ધક્કો થઈ શકે છે.
આવતીકાલે 4 માર્ચ, 2026ના રોજ ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાત મુજબ, રિવરફ્રન્ટ હેઠળ આવતા તમામ બગીચાઓ અને શહેરનું આકર્ષણ ગણાતો અટલ બ્રિજ ધુળેટીના દિવસે સવારથી સાંજના 5 વાગ્યા સુધી જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે. તહેવાર દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની રિવરફ્રન્ટની મુલાકાતનું આયોજન આ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને કરે. 4 માર્ચના રોજ સાંજે 5 વાગ્યા પછી તમામ બગીચાઓ અને અટલ બ્રિજ રાબેતા મુજબ મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે. રિવરફ્રન્ટ સત્તાવાળાઓએ અમદાવાદીઓને આ કામચલાઉ ફેરફારની નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી કરી છે.