Thu Jun 18 2026

Logo
IPL 2026:

કોહલીએ આરસીબીના ખેલાડીઓને કહ્યું, `પ્રૅક્ટિસમાં આપણે એક મિનિટનો પણ સમય બરબાદ નહીં કરીએ'

2026-03-21 16:45:00
Author: Ajay Motiwala
Article Image

બેંગ્લૂરુઃ 2025ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પહેલી જ વખત ટાઇટલ જીતનાર રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)નો પીઢ ખેલાડી વિરાટ કોહલી (VIRAT KOHLI) સતત બીજું ટાઇટલ જીતવા માટે પ્રતિબદ્ધ છે અને સાથી ખેલાડીઓને પણ જોશ અપાવવાની તેણે શરૂઆત કરી દીધી છે જેમાં તેણે સાથીઓને કહ્યું છે કે `દિલોદિમાગથી પ્રૅક્ટિસ કરજો. આપણે દરેક પ્રૅક્ટિસ સેશનમાં એક મિનિટ પણ બરબાદ નહીં કરીએ.'

2025ની ત્રીજી જૂને અમદાવાદમાં આઇપીએલની 18મી સીઝનની ફાઇનલમાં રજત પાટીદારના સુકાનમાં બેંગ્લૂરુએ પંજાબને છ રનથી હરાવીને પહેલી વખત ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. ત્યાર બાદ બીજા દિવસે બેંગ્લૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર આરસીબી (RCB)ના સેલિબે્રશનમાં સહભાગી થવા હજારો લોકોની ભીડ જામી હતી અને એમાં ભાગદોડ થતાં 11 જણના જીવ ગયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.

જોકે એ આઘાતજનક ઘટના બાદ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ઘણા મહિનાઓ સુધી બંધ રાખવામાં આવ્યું હતું અને ફરી ખૂલ્લું મૂકવામાં આવી રહ્યું છે જ્યાં શનિવાર, 28મી માર્ચે બેંગ્લૂર અને હૈદરાબાદ વચ્ચેની પ્રથમ મૅચ આ સ્ટેડિયમમાં જ રમાવાની છે.

કોહલીએ આરસીબીના ખેલાડીઓને આરસીબીના પ્રથમ પ્રૅક્ટિસ સેશન દરમ્યાન કહ્યું, `આપણે ગયા વર્ષે જે હાંસલ કર્યું એ માટે આપણે છેલ્લી બે-ત્રણ સીઝન બહુ મહેનત કરી હતી અને હવે અન્ય ટીમો આપણી સામે વધુ તાકાતથી રમશે એટલે સ્થિતિ આપણા માટે વધુ કઠિન બની જશે એટલે પ્રૅક્ટિસમાં તનતોડ મહેનત કરવા માંડો.'

ઝિમ્બાબ્વેનો ક્રિકેટ-લેજન્ડ ઍન્ડી ફ્લાવર આરસીબીનો હેડ-કોચ છે. આરસીબીએ વેન્કટેશ ઐયર, મંગેશ યાદવ, જોર્ડન કૉક્સ, વિકી ઓસ્તવાલ અને સત્વિક દેશવાલ જેવા ખેલાડીઓને આ વખતે સ્ક્વૉડમાં સમાવ્યા છે.

રજત પાટીદાર આરસીબીનો સુકાની છે. કોહલી ટીમનો મુખ્ય ખેલાડી ઉપરાંત માર્ગદર્શક પણ છે. તેણે ખેલાડીઓને વધુમાં કહ્યું, `આપણે ટૂર્નામેન્ટના આરંભ પહેલાંની પ્રૅક્ટિસ માટેના આ દિવસોમાં એક મિનિટનો પણ બરબાદ નથી કરવાનો. આવનારા બે-અઢી મહિના આપણે 120 ટકા ક્ષમતાથી પર્ફોર્મ કરવાનું છે.'