વડોદરાઃ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક પર 30 જુલાઈએ મતદાન થશે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુરુવારે રાત્રે ઉમેદવાર તરીકે સતીષભાઈ ગોવિંદભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી.
કોણ છે સતીષભાઈ પટેલ
સતીષભાઈ પટેલ ભાજપના પાયાના અને મજબૂત સ્થાનિક નેતા છે. તેઓ લાંબા સમયથી વડોદરા શહેર અને જિલ્લા ભાજપના સંગઠનમાં સક્રિય રહ્યા છે. સ્થાનિક કાર્યકરો સાથે તેમનો સતત સંપર્ક અને સંગઠન માટેનું કાર્ય તેમને પાર્ટીના વિશ્વનીય નેતાઓમાં સ્થાન અપાવે છે. માંજલુપર વિધાનસભામાં પણ તેમની સારી લોકપ્રિયતા અને મજબૂત પકડ છે. તેઓ વડોદરાના સહકારી માળખામાં પણ તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને પક્ષના વિવિધ સંગઠનાત્મક કાર્યો તેમજ સ્થાનીય પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યરત રહે છે.
કમળ ખીલશે, ભાજપ જીતશે
— BJP Gujarat (@BJP4Gujarat) July 9, 2026
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને પ્રચંડ વિજય માટે હાર્દિક શુભેચ્છાઓ. pic.twitter.com/cBiG0Bb4Ok
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે માંજલપુર બેઠકના ઉમેદવાર તરીકે શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.
— BJP Gujarat (@BJP4Gujarat) July 9, 2026
ઉમેદવારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને ભવ્ય વિજય માટે હાર્દિક શુભેચ્છાઓ. pic.twitter.com/7mC7uDPnac
માંજલપુર પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાદ સતીષભાઈ પટેલ છાણી વિસ્તારના 'છાણી ધર્માદા ટ્રસ્ટ' ના મુખ્ય સંચાલક છે. આ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી છાણી સ્મશાન ગૃહની દેખરેખ રાખે છે અને લોકોની મદદના કામો કરે છે. જ્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ થયો હતો, ત્યારે તેમણે છાણી સ્મશાનના લાકડાં જરૂરિયાતમંદ ગામડાંના સ્મશાનોમાં દાન કરવાનો મોટો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને કારણે તેઓ સ્થાનિક રાજકારણમાં ખૂબ ચર્ચામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, માંજલપુર બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પરથી ચૂંટણી લડવા ઘણા સ્થાનિક નેતાઓ વચ્ચે ખેંચતાણ હતી.આ માટે નિરીક્ષકોએ ઉમેદવારો અને સ્થાનિક આગેવાનોના અભિપ્રાય લીધા બાદ રિપોર્ટ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડને મોકલ્યો હતો. જે બાદ ગઈકાલે સતીષભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી.
વડોદરાની માંજલુપર બેઠક પર 6 જુલાઈથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થઈ ગયો છે. 13 જુલાઈ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે. 14 જુલાઈએ ઉમદવારી પત્રોની ચકાસણી થશે. 16 જુલાઈ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. 30 જુલાઈએ મતદાન થશે અને 3 ઑગસ્ટના રોજ પરિણામ જાહેર થશે.