નવી દિલ્હી : પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટમાં 39,290 કરોડ રૂપિયાના 6 મોટા પ્રોજેક્ટ્સ મંજૂરી આપવામાં આવી છે. જેમાં સૌથી મહત્વના 10,000 કરોડના એટીએફ(એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) ફંડને મંજૂરી આપવામાં આવી છે. તેમજ દેશમાં રોડ નેટવર્કને મજબૂત કરવા માટે 4 રાજ્યમાં હાઇવે નિર્માણને મંજૂર કરવામાં આવ્યા છે.
એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવ નિયંત્રણ માટે ઉપયોગી પગલું
આ નીતિગત નિર્ણયોની સીધી અસર દેશના એવિએશન સેકટર અને તેની વાણિજ્યિક પરિવહન વ્યવસ્થા અને રાજ્યોમાં આંતર-શહેર જોડાણ પર પડશે. આ મેગા પેકેજ દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા અને ચાર મુખ્ય રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના વિસ્તરણને વેગ આપવામાં આવશે. તેમજ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવને નિયંત્રણમાં રાખવા માટે એક ખાસ ભંડોળ સ્થાપિત કરવા પર વ્યૂહાત્મક ધ્યાન કેન્દ્રિત કરશે.
એવિએશન સેકટર લાંબા સમયથી મુશ્કેલીમાં
હાલ આંતરરાષ્ટ્રીય ઇંધણના ભાવમાં તીવ્ર વધઘટથી સ્થાનિક એરલાઇન્સને બચાવવા માટે રૂપિયા 10,000 કરોડનું 'ATF પ્રાઇસ સ્ટેબિલાઈઝેશન ફંડ સ્થાપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એવિએશન સેકટર લાંબા સમયથી અસ્થિર ઇંધણ ખર્ચનો સામનો કરી રહ્યો છે. આ ભંડોળ એરલાઇન્સના સંચાલન ખર્ચને સ્થિર કરવામાં અને તેમના માર્જિનને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.