Thu Jun 11 2026

Logo

શરદ પવાર જૂથના વિધાનસભ્યો નારાજ?

2026-06-11 19:17:10
Author: Vipul Vaidya
Article Image

પવારના વિશ્ર્વાસુ વિધાનસભ્યો ભાજપ પ્રદેશ પ્રમુખને મળ્યા: ઓપરેશન લોટસની શંકા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજકીય વર્તુળમાંથી મોટા સમાચાર બહાર આવી રહ્યા છે. રાજ્ય હાલમાં વિધાન પરિષદના ચૂંટણી પ્રચારની વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ ગુરુવારે સોલાપુરમાં હતા. વિધાન પરિષદની ચૂંટણીના સંદર્ભમાં, પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણની હાજરીમાં મહાયુતિના સ્થાનિક નેતાઓની બેઠક યોજાઈ હતી. જોકે, તે પહેલાં પણ ઘટનાક્રમ ઝડપી બન્યો છે. એનસીપીના શરદ પવાર જૂથના ત્રણ વિધાનસભ્યો ભાજપના પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણને મળવા પહોંચ્યા હતા.

આમાં માળશીરસના વિધાનસભ્ય ઉત્તમ જાનકર, માઢાના વિધાનસભ્ય અભિજીત પાટીલ અને એનસીપી-એસપી જૂથના કરમાળાના વિધાનસભ્ય નારાયણ પાટીલનો સમાવેશ થતો હતો. આમાંથી ઉત્તમ જાનકર શરદ પવારના નજીકના અને વિશ્ર્વાસુ વ્યક્તિ માનવામાં આવે છે. ઉત્તમ જાનકર વિધાનસભ્ય અભિજીત પાટીલ અને નારાયણ પાટીલ સાથે રવીન્દ્ર ચવ્હાણને મળવા પહોંચ્યા તે વાતથી ઓપરેશન લોટસની ચર્ચાને વેગ મળ્યો છે.

દરમિયાન, રવીન્દ્ર ચવ્હાણ જે બેઠકમાં હાજરી આપી રહ્યા છે ત્યાં સોલાપુરના પાલક પ્રધાન જયકુમાર ગોર પણ હાજર હતા. જોકે, બેઠક પહેલા જ એનસીપી-એસપી જૂથના 3 વિધાનસભ્યો રવીન્દ્ર ચવ્હાણને મળવા પહોંચી ગયા હોવાથી બધાના ભવાં ઊંચા થયા છે. 

સોલાપુરમાં વિધાન પરિષદની ચૂંટણીમાં, ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર રાઉતની એનસીપી-શરદ પવાર જૂથના ઉમેદવાર વસંતરાવ દેશમુખ સામે સીધી લડાઈ છે. જોકે, વિધાનસભ્ય ઉત્તમરાવ જાનકરે એનસીપી દ્વારા વસંતરાવ દેશમુખને મેદાનમાં ઉતારવા પર જાહેરમાં નારાજી વ્યક્ત કરી હતી. તેમણે વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી હતી. જોકે, સોલાપુરમાં ભાજપ અને મહાયુતિના નેતાઓની બેઠકમાં હાજરી આપતાં હવે રાજકીય વર્તુળોમાં એનસીપી-એસપીમાં વધુ એક ભંગાણની ચર્ચા ચાલી રહી છે.