મુંબઈ: મુંબઈના મીરા રોડ વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા સુરક્ષા ગાર્ડ પર હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલે સોલાપુરમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે છરીથી હુમલો કરનાર વ્યક્તિ કટ્ટરપંથી હોવાની શંકા વ્યક્ત કરી હતી.
ફડણવીસે મીડિયાને એમ પણ કહ્યું હતું કે તપાસ દરમિયાન હુમલાખોરના નિવાસસ્થાનેથી કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. 'જેહાદના નામે શંકાસ્પદ વ્યક્તિ અન્ય ધર્મના નાગરિકો પર હુમલો કરવા માંગતો હતો,' એમ પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
અમેરિકાથી પરત ફરેલા 31 વર્ષીય વ્યક્તિની પોલીસે છરીના હુમલાના સંબંધમાં સોમવારે ધરપકડ કરી હતી. મીરા રોડમાં બે સુરક્ષા ગાર્ડ પર હુમલો કરી તેમને ઈજાગ્રસ્ત કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ થાણે વિભાગના આતંકવાદ વિરોધી દળને સોંપવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિ પર સુરક્ષા ગાર્ડ દ્વારા 'કલમા' વાંચવાનો ઇનકાર કર્યા પછી હુમલો કરવાનો આરોપ છે.
સોલાપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં દેવેન્દ્ર ફડણવીસને આ ઘટના વિશે પૂછવામાં આવતા શંકાસ્પદ હુમલાખોર કટ્ટરપંથી હોવાની શંકા વ્યક્ત કરી જણાવ્યું હતું કે 'આ વ્યક્તિ કટ્ટરપંથી લાગે છે, તેના નિવાસસ્થાનેથી કેટલાક વાંધાજનક પુસ્તકો અને વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. તે અમેરિકામાં રહેતો હતો અને તાજેતરમાં પાછો ફર્યો છે. તે કટ્ટરપંથી બની ગયો છે અને જેહાદના નામે અન્ય ધર્મોના સભ્યો પર હુમલો કરી રહ્યો છે. એમાંથી આ ઘટના બની હોવાનું લાગે છે.
આતંકવાદ વિરોધી ટુકડી હાલમાં આ કેસની તપાસ કરી રહી છે અને આ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સીની પણ શોધ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર બંને તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે. શું આની પાછળ કોઈ મોટું કાવતરું કે નેટવર્ક છે કે કેમ એની તપાસ કરવામાં આવી રહી છે.'
સુરક્ષા ગાર્ડ્સ પર છરીથી હુમલો કરવાના આરોપમાં અંસારી નામની એક વ્યક્તિની ધરપકડ ઘટનાના ત્રણ કલાકની અંદર પોલીસે કરી હતી. મીરા રોડના નયા નગરમાં શંકાસ્પદ વ્યક્તિએ રાજકુમાર મિશ્રા અને સુબ્રતો સેન પર હુમલો કર્યો હતો. શંકાસ્પદ વ્યક્તિ 19 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા બાદ 2019 માં ભારત પાછો ફર્યો હતો. હાલમાં આ ઘટનાની તપાસ ચાલી રહી છે.