Thu Jun 18 2026

Logo

‘ભારતને આ હારની જરૂર હતી... ’ રવિ શાસ્ત્રીએ આવું કેમ કહ્યું? ગંભીરને આપી આવી સલાહ...

2026-02-24 18:28:51
Author: Savan Zalariya
Article Image

ચેન્નઈ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 સ્ટેજમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમની 76 રનથી કારમી હાર થઇ હતી. હવે સેમીફાઈનલમાં પ્રવેશવા માટે ભારતે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચ જીતવી જરૂરી છે. એવામાં ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ કોચ અને પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમને કડક શબ્દોમાં શિખામણ આપી છે. ICC રિવ્યૂમાં વાત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે ભારતને શરૂઆતમાં જ હાર મળી, એ સારું થયું. જેનાથી ટીમને સુપર-8ની બાકીની બે મેચો યોજના પૂર્વક આગળ વધવા સમય મળ્યો.

ટીમ નાતે ઝટકો જરૂરી હતો:
રવિ શાસ્ત્રીએ કહ્યું કે, “મને ખુશી છે કે ભારતને હાર વહેલી મળી,  ભારત માટે કદાચ આ જરૂરી ઝટકો હતો, જેને કારણે ટીમને તેની રણનીતિ અને ટીમ કમ્પોઝીશન વિષે પુનર્વિચાર કરવા ફરજ પડશે. મને ખાતરી છે કે ટીમ કમ બેક કરશે, તેઓ અનુભવમાંથી શીખ્યા હશે અને ભૂલોને હળવાશથી નહીં લે. સુપર 8 માં, જો ભારતીય ટીમ બીજી મેચ પણ હારી જાય, તો ટીમ ગંભીર દબાણમાં આવી પડશે." 

ICC

રીન્કુને બહાર બેસાડવા સલાહ:
દક્ષિણ આફ્રિકા સામેની મેચ માટે વાઇસ કેપ્ટન અક્ષર પટેલની બદલે વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ-11માં સામેલ કરવાના ટીમ મેનેજમેન્ટના નિર્ણયની ટીકા કરવામાં આવી રહી છે, એવામાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે ઝિમ્બાબ્વે સામે ભારતીય ટીમ મેનેજમેન્ટ બંને સ્પિન ઓલરાઉન્ડરોને પણ મેદાનમાં ઉતારી શકે છે, જેનાથી બેટિંગ લાઈન અપમાં ડેપ્થ વધશે અને વધારાનો બોલિંગ વિકલ્પ પણ મળી શકશે.

રવિ શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે હેડ કોચ ગૌતમ ગંભીરને ફિનિશર રિંકુ સિંહને પ્લેઇંગ-11માંથી બહાર રાખવાનો કડક નિર્ણય લેવો પડી શકે છે. T20 ક્રિકેટમાં આઠ બેટર્સ પણ કામ પૂર્ણ કરી નથી કરી શકતા, તો સમજો કે કંઈક ખોટું છે. ભારતીય ટીમ ગુરુવારે ઝિમ્બાબ્વે સામે ચેન્નઈમાં અને 1 માર્ચે કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમશે.