Tue May 26 2026

Logo

"આગામી વર્ષે PM મોદીની વિદાય નક્કી...", રાહુલ ગાંધીએ કયા આધારે કર્યો આટલો મોટો દાવો?

2026-05-26 09:21:55
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી:2024ની લોકસભાની ચૂંટણી બાદ અનેક રાજકીય નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય ભવિષ્ય અંગે આગાહી કરી ચૂક્યા છે. ત્યારે હવે કોંગ્રેસ લઘુમતી સલાહકાર સમિતિની બેઠકમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મોટું રાજકીય નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આગામી વર્ષમાં વિદાય નિશ્ચિત છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિઓ અને દેશમાં વધતી જતી આર્થિક અસંતોષ આ પરિવર્તનના મુખ્ય પરિબળો હશે. તેમણે કહ્યું કે બદલાતી પરિસ્થિતિઓ અને વધતી જતી જાહેર અસંતોષની ભારતીય રાજકારણ પર અસર પડશે.

મળતી વિગતો અનુસાર કોંગ્રેસની આ બેઠક દરમિયાન કેટલાક નેતાઓએ "મુસ્લિમ" ને બદલે "લઘુમતી" શબ્દનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો. રાહુલ ગાંધીએ અસંમતિ વ્યક્ત કરતા કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી અને અન્યાયનો સામનો કરી રહેલા કોઈપણ સમુદાયને ખુલ્લેઆમ સમર્થન આપવું જોઈએ. તેમણે કહ્યું કે ભલે તે હિન્દુ હોય, દલિત હોય, કથિત ઉચ્ચ જાતિ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ખ્રિસ્તી હોય કે બૌદ્ધ-જૈન હોય, કોંગ્રેસે બધાના અધિકારો માટે અવાજ ઉઠાવવો જોઈએ.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ નેતા ઇમરાન મસૂદે બેઠકમાં કહ્યું હતું કે પાર્ટીએ એ વાત બદલવી જોઈએ કે મુસ્લિમ સમુદાય ફક્ત ભાજપને હરાવવા માટે જ મત આપે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે મુસ્લિમ સમુદાયને સંદેશ આપવો જોઈએ કે પાર્ટીએ તેમના માટે ઘણું કર્યું છે અને આ આધારે સમર્થન મેળવવું જોઈએ. જેથી ભાજપ બહુમતી ધ્રુવીકરણની રાજનીતિનો આશરો ન લઈ શકે.

વળી આ બેઠકમાં કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીને ફરિયાદ કરી હતી કે તેઓ ખુલ્લેઆમ લઘુમતી મુદ્દાઓ ઉઠાવે છે, જ્યારે પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ તેમના પર બોલવાનું ટાળે છે. તેમણે સૂચન કર્યું હતું કે અન્ય નેતાઓએ પણ રાહુલ ગાંધીની જેમ લઘુમતી મુદ્દાઓ પર બોલવું જોઈએ. બે કલાકથી વધુ ચાલેલી આ બેઠકનું આયોજન કોંગ્રેસ લઘુમતી વિભાગના અધ્યક્ષ ઇમરાન પ્રતાપગઢી દ્વારા કરવામાં આવ્યું હતું.