તેલ અવીવ : ઈરાન દ્વારા સતત ઇઝરાયલ પર થઈ રહેલા હુમલા બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ઈરાનને સમગ્ર વિશ્વ માટે ખતરો ગણાવ્યો છે. તેમજ કહ્યું છે કે છેલ્લા 48 કલાકમાં ઈરાને નાગરિકો પર હુમલો કર્યો છે. તેમજ હવે દરેક દેશે આગળ આવવાનો સમય આવી ગયો છે. ઈરાન આ હુમલો સામૂહિક હત્યા માટે કરી રહ્યું છે. જોકે, સદનસીબે કોઈનું મૃત્યુ થયું નથી. તેનો ઇરાદો નાગરિકોને મારવાનો હતો.
ઈરાને જેરુસલેમ પર હુમલો કર્યો
આ ઉપરાંત નેતન્યાહૂએ કહ્યું કે ઈરાને જેરુસલેમ પર હુમલો કર્યો. જે ધર્મોના પવિત્ર સ્થળોની બાજુમાં હતો. આમાં વેસ્ટર્ન વોલ, ચર્ચ ઓફ ધ હોલી સેપલ્ચર અને અલ-અક્સા મસ્જિદનો સમાવેશ થાય છે. જોકે, તેમાં કોઈને નુકસાન થયું ન હતું પરંતુ તેમનું લક્ષ્ય ત્રણ મુખ્ય ધાર્મિક સ્થળો હતા.
આખી દુનિયાને બ્લેકમેલ કરવાનો પ્રયાસ
નેતન્યાહૂએ કહ્યું કે ઈરાને ડિએગો ગાર્સિયા પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો જે તેનાથી 4,000 કિમી દૂર છે. હું સતત ચેતવણી આપી રહ્યો છું. હવે તેમની પાસે યુરોપ પર પણ હુમલો કરવાની ક્ષમતા છે. તેઓ પહેલાથી જ યુરોપિયન દેશો સાયપ્રસ પર હુમલો કરી ચૂક્યા છે. તેઓ દરેકને નિશાન બનાવી રહ્યા છે.
ઈરાન આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો અવરોધિત કરી રહ્યા છે અને ઉર્જા માર્ગો અવરોધિત કરી રહ્યા છે અને આખી દુનિયાને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈરાનનું શાસન જે આખી દુનિયાને ધમકી આપી રહ્યું છે તેને રોકવાની જરૂર છે તેના માટે તમને વધુ શું પુરાવાની જરૂર છે?