મુંબઈઃ મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટે આજે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) જાતીય સતામણી અને ધર્મ પરિવર્તન કેસની આરોપી નિદા ખાન પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની ટિપ્પણી પર આકરા પ્રહારો કર્યા હતા.
એએનઆઈની એક પોસ્ટ મુજબ શિરસાટે આરોપ લગાવ્યો કે AIMIM પોતે આ કેસમાં સંડોવાયેલી છે અને દાવો કર્યો કે ખાનને છત્રપતિ સંભાજીનગરમાં ઘણા દિવસોથી આશ્રય આપવામાં આવ્યો હતો. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ખાન એક "પગારદાર કાર્યકર" હતી જે સૂચના મુજબ કામ કરતી હતી. જો તેણે કંઈ કર્યું નહીં હોય, તો તેને નિર્દોષ જાહેર કરવામાં આવશે, એમ શિરસાટે કહ્યું હતું.
શિરસાટે ઓવૈસી પર તેમના નિવેદનો દ્વારા લોકોને ઉશ્કેરવાનો પણ આરોપ લગાવ્યો અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે વધુમાં દાવો કર્યો કે આ મુદ્દા પર ઓવૈસીના સમર્થનમાં કોઈ મુસ્લિમ નેતા આગળ આવ્યા નથી.
દરમિયાન TCS કેસની પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે AIMIM કોર્પોરેટર મતીન પટેલે કથિત રીતે છત્રપતિ સંભાજીનગરમાં ખાનને આશ્રય આપીને મદદ કરી હતી. તપાસના ભાગરૂપે નાશિક પોલીસે પટેલને નોટિસ જારી કરી છે અને તેમનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા દિવસોથી ફરાર ખાન છેલ્લા પાંચ દિવસથી છત્રપતિ સંભાજીનગરમાં રહેતી હતી. પટેલના સંપર્કમાં આવ્યા બાદ, તેણે તેના પરિવાર સાથે ત્યાં શિફ્ટ થવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. પટેલે કથિત રીતે નારેગાંવના કૌસર પાર્ક વિસ્તારમાં નવા ખરીદેલા ફ્લેટમાં ખાનને રહેવાની વ્યવસ્થા કરી હતી. આ ફ્લેટ લગભગ બે મહિના પહેલા ખરીદવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
પોલીસે હવે બળાત્કાર, ગેરકાયદે ધર્મ પરિવર્તન અને અત્યાચારના આરોપોનો સામનો કરી રહેલી નિદા ખાનને કથિત રીતે આશ્રય આપવા બદલ પટેલને સહ-આરોપી ગણ્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 249 હેઠળ પટેલ સામે નાસિકમાં કેસ નોંધવામાં આવ્યો છે.