કાઠમંડુ: નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની જેન-જી આંદોલન કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં 77 લોકોનાં મોત થયા હતા. સરકારે તપાસ અહેવાલના તારણોના આધારે કાર્યવાહી કરી છે. આ દરમિયાન ઓલીના સમર્થકો ધરપકડને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી રહ્યા છે.
નેપાળમાં રાજકીય ચર્ચાઓ તેજ બની
આ અંગે મળતી માહિતી મુજબ શનિવારે સવારે પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ધરપકડના થોડા સમય બાદ તેમને કાઠમંડુની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત લાંબા સમયથી ખરાબ છે અને અગાઉ તેમના અનેક કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ ઘટનાક્રમથી નેપાળમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
આ ઉપરાંત જેન-જી આંદોલન કેસમાં નેપાળી કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની પણ ધરપકડ કરવામાં આવી છે. સરકારે એક તપાસ અહેવાલના આધારે આ કાર્યવાહી કરી છે.
તપાસ પંચે આને ગુનાહિત બેદરકારીનો કેસ ગણાવ્યો
આ કેસ ગત વર્ષે થયેલા જેન-જી વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલો છે. આ વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. જેના પરિણામે 77 લોકો માર્યા ગયા હતા અને જાહેર સંપત્તિને નુકસાન થયું હતું. તપાસ પંચે આને ગુનાહિત બેદરકારીનો કેસ ગણાવ્યો હતો અને પગલાં લેવાની ભલામણ કરી હતી.