મુંબઈ: મુલુંડમાં પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા પરથી પતિએ ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી હોવાની ઘટના શનિવારે રાતે બની હતી. મુલુંડ પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને પતિની ધરપકડ કરી હતી.
મુલુંડ પશ્ર્ચિમમાં જે.એન. રોડ પર સાઇનાથ પ્લાઝા સામે શનિવારે રાતે 9.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મૃતકની ઓળખ સંતોષકુમાર બિંદ (31) તરીકે થઇ હતી. મુલુંડ પોલીસે આરોપી રાકેશકુમાર ધીવર (42)ની ધરપકડ કરી હતી, જે મુલુંડના ઇન્દિરાનગરમાં રહે છે. કોર્ટે તેને 7 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આરોપી રાકેશકુમારને શંકા હતી કે તેની પત્ની અને સંતોષકુમાર વચ્ચે અનૈતિક સંબંધ છે. દરમિયાન આરોપીએ શનિવારે રાતે સંતોષકુમારને ઘટનાસ્થળે આંતર્યો હતો અને તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સંતોષકુમારને ત્વરિત નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
આ ઘટના બાદ સંતોષકુમારના ભાઇ વિશાલ બિંદે પોલીસમાં નોંધાવેલી ફરિયાદને આધારે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસ ટીમે આરોપીની શોધ ચલાવ્યા બાદ તેને ઝડપી પાડ્યો હતો.