ચેન્નઈ: આવતા મહીને ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026ની શરૂઆત થવા જઈ રહી છે, એવામાં ક્રિકેટ ચાહકો ચર્ચા કરી રહ્યા છે કે ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)નો ‘થાલા’ મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર પીળી જર્સીમાં મેદાન પર જોવા મળશે કે નહીં. એવામાં CSKના મેનેજિંગ ડિરેક્ટર અને CEO કે.એસ. વિશ્વનાથને સારા સમાચાર આપ્યા છે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે ધોની IPL 2026 સીઝનમાં રમશે.
નોંધનીય છે કે 44 વર્ષીય એમ એસ ધોનીએ IPL માંથી નિવૃત્તિની કોઈ જાહેરાત કરી નથી, છતાં ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે તે કદાચ હવે ક્રિકેટ નહીં રમે. એવામાં કે.એસ. વિશ્વનાથ તરફથી જાહેરાત કરવામાં આવ્યા થાલાના ચાહકોમાં ઉત્સાહનનો માહોલ છે.
એમએસ ધોનીને IPLના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે, તેની કેપ્ટનશીપ હેઠળ CSKએ પાંચ વખત IPL ટાઈટલ જીત્યું. એમ એસ ધોનીએ અત્યાર 235 IPL મેચમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી 136 મેચમાં જીત મેળવી છે.
IPL 2026 માં 10 ટીમો ભાગ લઇ રહી છે, ટુર્નામેન્ટમાં કુલ 84 મેચ રમાશે. CSKની કેપ્ટનશીપ યુવા ખેલાડી ઋતુરાજ ગાયકવાડના હાથમાં સોંપવામાં આવી છે, પરંતુ ધોની જેવા અનુભવી ખેલાડીઓનું ટીમમાં હોવાથી જ ખેલાડીઓનો જુસ્સો વધે છે.
એમ એસ ધોની મેદાન પર શાંત સ્વભાવ, સચોટ નિર્ણય ક્ષમતા, મજબુત ફિલ્ડ પ્લેસમેન્ટ અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની ક્ષમતા માટે જાણીતા છે. હાલમાં, ધોનીના IPL 2026 રમવા અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે.