સુરતઃ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર હાલ તેમના ટેક્સવાળા નિવેદનને લઈ ચર્ચામાં છે. આ દરમિયાન તેમનો પરીણિત ભત્રીજો પણ વિવાદમાં આવ્યો છે. માયાભાઈ આહીરનો પરીણિત ભત્રીજો કોન્સ્ટેબલ યુવતી સાથે લિવ-ઈનમાં રહ્યો હતો. હવે આ મામલો પોલીસમાં પહોંચ્યો છે.
શું છે સમગ્ર મામલો
તાજેતરમાં સુરતના પુણા પોલીસ સ્ટેશન બહાર કીર્તિ પટેલે તમાશો કર્યો હતો. તેણે રાજુ ભમ્મરને પડકાર ફેંક્યો હતો કે પોલીસ ફરિયાદ કરવી હોય તો હું અહીં જ ઉભી છું. સામે આવીને બતાવ. જે બાદ રાજુ ભમ્મરે જણાવ્યું કે, તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી અને હાલ સસ્પેન્ડ કરવામાં આવેલી કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે 21 મહિના સુધી લિવ ઈનમાં રહ્યા હતા. આ સંબંધ તૂટ્યા બાદ નયના બારૈયાના કહેવાથી જ કીર્તિ પટેલે તેને અને તેના પરિવારને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું.
રાજુ ભમ્મર કોણ છે
રાજુ ભમ્મર ઉર્ફે રાજુ આહીર મૂળ ભાવનગર જિલ્લાના બોરડા ગામના રહેવાસી છે. તેમના પત્ની હાલમાં બોરડા ગામના સરપંચ છે. માયાભાઈ આહીર પણ બોરડા ગામના છે. રાજુ ભમ્મર માયાભાઈ આહીરના કૌટુંબિક ભત્રીજા છે. નવનીત બાલધિયા હુમલા કેસમાં પણ આરોપીમાં રાજુ ભમ્મરનું નામ સામેલ હતું. જેમાં SITની ટીમે રાજુ ભમ્મર સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.
કીર્તિ પટેલે તાજેતરમાં સુરતના પુણા પોલીસ સ્ટેશન બહાર એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે બરાડા પાડીને કહ્યું હતું કે, પુણા પોલીસ સ્ટેશનની બહાર આવીને ઉભી છું, ઓલો રાજુ પહેલા ભાવનગરના દાઠા પોલીસ સ્ટેશનમાં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા અને હવે અહીંયા ફરિયાદ કરવા આવે છે. અહીંયા જ ઉભી છું, ફરિયાદ કરવી હોય તો આવી જા હાલ. એટલે હું પણ મારો બદનક્ષીનો દાવો દાખલ કરું.
તેમજ કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા પરથી સતત વીડિયો અને રીલ્સ અપલોડ કરીને કેમ રાજુ ભમ્મર પર આક્ષેપો કર્યા હતા. રાજુ ભમ્મર અને સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા પહેલા લીવઈનમાં સાથે રહેતા હતા. પછી રાજુ ભમ્મરે નયના બારૈયાની સાથે રહેવાનો ઈનકાર કરતા આ વિવાદમાં કીર્તિ પટેલની એન્ટ્રી થઈ હતી.
સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા અને રાજુ ભમ્મર વચ્ચેના લિવ ઇન દસ્તાવેજો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. નયના બારૈયા અને રાજુ ભમ્મર વચ્ચેના વિવાદમાં સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે નયના બારૈયાનો પક્ષ લીધો હતો ત્યારથી સતત આ મામલો ચર્ચામાં છે.
કોણ છે કીર્તિ પટેલ
કીર્તિ પટેલ એક સમયે ફેશન ડિઝાઈનર હતી. તેમજ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી ફેમસ થઈ હતી. જોકે સોશિયલ મીડિયા પર ફેમસ થયા બાદ તે વિવિધ વિવાદમાં આવી હતી. શરૂઆતમાં માત્ર કોમેડી વીડિયો બનાવતી કીર્તિ પટેલ હવે વધારે વિવાદોથી ઘેરાયેલી રહે છે. એની માને ડાયલોગથી ફેમસ કીર્તિ પટેલને ટ્રોલરો ટ્રોલ કરવાનો મોકો નથી છોડતા. અગાઉ પણ હાથી અને ઘુવડવાળા મુદ્દાને લઈને વીડિયો બનાવ્યા હતા અને જેમના કારણે ઘણાં વિવાદો સર્જાયા હતા. આ ઉપરાંત મૃગીકુંડમાં સ્નાન, ભારતીબાપુ આશ્રમ વીડિયો સહિત અનેક વિવાદમાં સપડાઈ છે.