Wed Jul 29 2026

Logo

મહારાષ્ટ્રનું અર્થતંત્ર ₹51 લાખ કરોડે પહોંચ્યું, વધતા દેવા વચ્ચે પણ ઈકોનોમી મજબૂતઃ ફડણવીસનો દાવો

2026-03-11 21:08:14
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભામાં રાજ્યના બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા રાજ્યના અર્થતંત્ર પર નાણાકીય બોજનો સ્વીકાર કર્યો હતો, સાથે જ ભારપૂર્વક જણાવ્યું હતું કે આંકડાઓને એકતરફી ન જોવા જોઈએ, કારણ કે છેલ્લા દાયકામાં દેવું અને અર્થતંત્રનું કદ બંને વધ્યા છે.

રાજ્યનું દેવું 2013માં લગભગ 3 લાખ કરોડ રૂપિયા હતું જે વધીને 9.32 લાખ કરોડ રૂપિયા થયું છે, જ્યારે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 16 લાખ કરોડ રૂપિયાથી વધીને 51 લાખ કરોડ રૂપિયા થઈ છે. "મહારાષ્ટ્રનું  દેવું -જીએસડીપી રેસિયો લગભગ 18 ટકા છે, જે તેલંગણા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિલનાડુ સહિતના અન્ય ઘણા રાજ્યો કરતા ઓછો છે," નાણા મંત્રાલય સંભાળતા ફડણવીસે જણાવ્યું હતું.

રાજ્ય પાસે હજુ પણ લોન લેવાની ક્ષમતા છે, તેમણે કહ્યું કે મુખ્ય મુદ્દો એ છે કે લોન દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો યોગ્ય રીતે ઉપયોગ થાય. મુખ્ય પ્રધાને નાણાકીય દબાણનો સ્વીકાર કર્યો પરંતુ કહ્યું કે સરકાર પાસે ઉકેલો શોધવાની ક્ષમતા છે.

તેમણે સામાજિક ક્ષેત્રને ફાળવણીમાં કાપ મૂકવામાં આવ્યો છે અથવા તેને બીજે વાળવામાં આવી હોવાના આરોપોને પણ નકારી કાઢ્યા હતા. ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે સામાજિક ક્ષેત્રની અવગણના કરવામાં આવી નથી અને લાડકી બહિન યોજના અને ખેડૂતોને મફત વીજળી છતાં, રાજ્ય આર્થિક રીતે મજબૂત છે.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે રાજ્યની અંતિમ સિંચાઈ ક્ષમતા 81 લાખ હેક્ટર હોવાનો અંદાજ છે, જેમાંથી લગભગ 57 લાખ હેક્ટર એટલે કે  લગભગ 70 ટકા ઉપયોગ થયો છે. રાજ્યની રિન્યુએબલ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરતા, ફડણવીસે જણાવ્યું હતું કે બિન-પરંપરાગત ઉર્જા ઉત્પાદન 2030 સુધીમાં 52 ટકા અને 2035 સુધીમાં 65 ટકા સુધી પહોંચવાની ધારણા છે.  

ગ્રીન એનર્જી સ્ટોર કરવા માટે એક નવી બેટરી-આધારિત ટેકનોલોજી પણ વિકસાવવામાં આવી રહી છે, જેના માટે રૂ. 1,650 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જ્યારે આ ક્ષેત્રમાં લગભગ રૂ. 3.12 લાખ કરોડનું ખાનગી રોકાણ અપેક્ષિત છે, એમ તેમણે ઉમેર્યું.

મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની 45,000 મેગાવોટ વીજળી ઉત્પાદન ક્ષમતા 2030 સુધીમાં 82,000 મેગાવોટ સુધી પહોંચવાની ધારણા છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્લાન્ટમાં વિલંબ થાય તો પણ અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગયા વર્ષે ઔદ્યોગિક વીજ વપરાશમાં લગભગ 8 ટકાનો વધારો થયો હતો, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ હતો. કૃષિ સરચાર્જમાં ઘટાડા સાથે વીજળીના દર નીચા રહ્યા છે અને આગામી પાંચ વર્ષમાં શૂન્યથી 100 યુનિટ સુધીના ઘરગથ્થુ વીજ દરમાં 24 ટકાનો ઘટાડો થવાની ધારણા છે, તેમણે ઉમેર્યું.
(પીટીઆઈ)