ચેન્નઈ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 સ્ટેજમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી હાર બાદ ભારતીય ટીમની સેમીફાઈનલની રાહ મુશ્કેલ જણાઈ રહી છે. ભારતીય ટીમને હવે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચ જીતવી જરૂરી છે, ભારત ગુરુવારે ઝિમ્બાબ્વે સામે મેચ રમશે. એ પહેલા ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ભારતીય ટીમને પડકાર ફેંક્યો છે.
નોંધનીય છે કે ઝિમ્બાબ્વેની ટીમ પાસે ભારતમાં રમવાનો અનુભવ ખુબ ઓછો છે, ઝિમ્બાબ્વે એક દાયકાથી વધુ સમયથી ભારતમાં T20I મેચ નથી રમી. એક ઈન્ટરવ્યું દરમિયાન સિકંદર રઝાએ કહ્યું ભારતમાં T20I મેચ રમવાના ઓછા અનુભવને તેઓ બહાનાં તરીકે ઉપયોગ નહીં કરે, તેમણે કહ્યું કે તેઓ ભારતીય ટીમનો સામનો કરવા સંપૂર્ણપણે તૈયાર છે.
ભારતને પડકાર:
રઝાએ કહ્યું, "પરિણામ ગમે તે આવે, મને એવું નથી લાગી રહ્યું કે અમે પરિસ્થિતિઓને અનુકુળ નથી થઇ શક્યા. અમે વોર્મ-અપ કરી રહ્યા છીએ, અમે નેટ સેશનમાં મહેનત કરી રહ્યા છીએ. અમે ઘણું ક્રિકેટ જોઈએ છીએ અને શીખી રહ્યા છીએ, અમારામાંથી મોટાભાગના ભારતમાં નથી રમ્યા. મેચ જીતવા અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શનની કરીશું."
ઝિમ્બાબ્વેનો આત્મવિશ્વાસ વધ્યો:
નોંધનીય છે કે ગ્રુપ સ્ટેજમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવ્યું હતું, આ જીત બાદ ટીમમાં વધેલા આત્મવિશ્વાસ અંગે રઝાએ કહ્યું કે,"દરેક જીત સાથે પરિસ્થિતિ બદલાય છે. પહેલી જીત બાદ મને આત્મવિશ્વાસ દેખાતો હતો, પરંતુ ત્યાર બાદ સ્થિતિ વધુને વધુ સારી થઇ છે.”
"જીતને કારણે આત્મવિશ્વાસ વધે છે અને તમે વધુ સારું કરવાનો પ્રયાસ કરો છો. ઝિમ્બાબ્વે માત્ર સુપર આઠમાં ભાગ લેવા માટે નહીં, પણ પડકાર આપવાનો ઇરાદો ધરાવે છે.”