Thu Jun 18 2026

Logo

યુદ્ધની આગમાં ગુજરાતના ઉદ્યોગો શેકાયા: ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષથી રાજ્યને ₹10,000 કરોડના નુકસાનનો અંદાજ

2026-03-21 10:27:00
Author: MayurKumar Patel
Article Image

AI Genrated Image


અમદાવાદઃ ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાએ મળીને કરેલા હુમલાને ત્રણ સપ્તાહ થયા છે. જેની અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. યુદ્ધની આગાના કારણે ગુજરાતના ઉદ્યોગોને આશરે ₹10,000 કરોડના નુકસાનનું સંકટ છે. જેમાંથી કેટલોક હિસ્સો ક્યારેય ભરપાઈ ન થઈ શકે તેવો હોઈ શકે છે. 

 સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષને કારણે રાજ્યની નિકાસમાં લગભગ 30% જેટલો ઘટાડો થયો છે. આમાંથી આશરે ₹10,000 કરોડનો વ્યવસાય કાયમી ધોરણે ગુમાવ્યો હોવાનું માનવામાં આવે છે અને તેની વસૂલાત થવાની શક્યતા ઓછી છે. 
આ અસર સિરામિક, ફૂડ એન્ડ બેવરેજીસ, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ તેમજ ટેક્સટાઈલ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં જોવા મળી રહી છે.

યુદ્ધ લંબાશે તો વૈશ્વિક મંદી આવી શકે છે

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે જો સ્થિતિ આવી જ રહેશે તો નુકસાન વધુ વકરી શકે છે. તેમણે કહ્યું, ₹10,000 કરોડનો આંકડો એ લઘુત્તમ અંદાજ છે. લગભગ 30% નિકાસને અસર થઈ હોવાથી, જો સંઘર્ષ ચાલુ રહેશે તો આગામી ક્વાર્ટરમાં નુકસાન નોંધપાત્ર રીતે વધારે હોઈ શકે છે. સૂત્રોએ યુદ્ધના કારણે  વેપારમાં અવરોધ અને ઈંધણના ભાવમાં વધારાથી થતા વ્યાપક આર્થિક પરિણામો અંગે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આ સંઘર્ષ વધુ ત્રણ મહિના લંબાશે તો વૈશ્વિક અર્થતંત્ર મંદી જેવી સ્થિતિ તરફ ધકેલાઈ શકે છે.

યુદ્ધના દિવસો વધવાની સાથે નુકસાનનો આંકડો પણ વધશે

સૂત્રોએ કહ્યું, ક્રૂડના ભાવમાં પહેલેથી જ લગભગ 35% નો વધારો થયો છે, જેના કારણે ઉદ્યોગોને તેમની ઉત્પાદન ક્ષમતા 100% થી ઘટાડીને લગભગ 50% કરવાની ફરજ પડી છે. આ એવું નુકસાન છે જે સ્થિતિ સામાન્ય થાય તો પણ રિકવર કરી શકાતું નથી. તેમણે ઉમેર્યું હતું કે જો ઝડપી ઉકેલ આવે તો નુકસાન મર્યાદિત કરી શકાય છે. જો 30 થી 45 દિવસમાં સ્થિતિ સ્થિર થાય, તો ઉદ્યોગો અમુક નુકસાન રિકવર કરી શકે છે. જો કે, જો સંઘર્ષ લાંબો ખેંચાશે, તો નુકસાન બે થી ત્રણ ગણું વધી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વોર-રિસ્ક ઈન્સ્યોરન્સ, ઉંચા નૂર (ભાડું) ખર્ચ, લાંબા શિપિંગ રૂટ, ઈંધણના વધેલા ભાવ અને મોંઘા કાચા માલના કારણે ખર્ચમાં વધારો થયો છે, જે કાયમી નુકસાનમાં વધારો કરી રહ્યો છે. એકમાત્ર રાહતની વાત મજબૂત સ્થાનિક વપરાશ છે, જેણે તૈયાર અને અર્ધ-તૈયાર માલના મોટા હિસ્સાને સમાવવામાં મદદ કરી છે.