નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે લવ અને લેન્ડ જેહાદ અંગે ચેતવણી આપી છે. તેમણે ભગવાન રામની ટીકા કરનારાઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે શ્રી રામ સાથે દગો કરનારાઓને ધરતી પર કોઈ સ્થાન મળતું નથી. તેમજ જે લોકોને દેશ પ્રત્યે નિષ્ઠા નથી તેમની માટે ભારત કોઇ ધર્મશાળા નથી. સીએમ યોગીએ આ નિવેદન દિલ્હીમાં આયોજિત નવ દિવસીય રામકથા મહોત્સવના સમાપન સમારોહમાં આપ્યું હતું.
લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે ચેતવણી આપતા ભાર મૂક્યો
તેમણે લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે ચેતવણી આપતા ભાર મૂક્યો હતો કે સમાજે આ જોખમો સામે એક થવું જોઈએ. જ્યારે વિભાજનકારી શક્તિઓ જાતિ, ભાષા અને પ્રદેશના નામે વિવાદ ઉભો કરશે. ત્યારે ભારતના સંત સમુદાય સમાજને એક કરવા અને રાષ્ટ્રને આગળ વધારવાનો પ્રયાસ કરે છે. આપણે વ્યાસપીઠ પરથી આપવામાં આવેલા ગહન સંદેશને આત્મસાત કરવો જોઈએ. આધ્યાત્મિક પ્રવચન ફક્ત સાંભળવા માટે નથી પરંતુ તે ઉપદેશોને સ્વીકારવા અને અપનાવવાની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે.
રામકથા પણ સાંભળી હતી
સીએમ યોગીએ આ પૂર્વે તુલસી પીઠાધીશ્વર જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્ય દ્વારા સંભળાવવામાં આવેલી રામકથા પણ સાંભળી હતી. તેની બાદ મુખ્યમંત્રી યોગીએ ભક્તોને કહ્યું કે જે કોઈ પણ ભગવાનની હાજરીમાં આવે છે તે કુદરતી આફતોથી મુક્ત રહે છે. તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી કે બધા ભક્તોનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે.
રામનું નામ જીવનની દરેક સમસ્યાનું સમાધાન
સીએમ યોગીએ જણાવ્યું હતું કે સંતોએ શ્રી રામ જન્મભૂમિ આંદોલનને જીવન અને મૃત્યુનો મુદ્દો બનાવ્યો હતો. જેનો તેવો કોઈ શ્રેય માંગતા ન હતા. તેઓ ફક્ત એટલા માટે આ અભિયાનમાં જોડાયા કારણ કે ભારતીય પરંપરા અને વારસામાં, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ બધા માટે આદર્શ છે. તેમજ રામનું નામ જીવનની દરેક સમસ્યાનું સમાધાન છે.