Sun May 31 2026

Logo
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા સામે વન-ડે કુલદીપને સ્થાન ન મળતા ભડક્યો અશ્વિન, જુઓ શું કહ્યું?

2025-10-20 21:17:00
Author: Kshitij Nayak
Article Image

નવી દિલ્હીઃ ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર હંમેશા પોતાના ક્રેકેટિંગ વિશ્વાસ પર અડગ રહે છે અને આઠમા નંબર સુધી બેટિંગને મજબૂત બનાવવા માટે ઓલરાઉન્ડર ખેલાડીઓની પસંદગી કરવી એ તેમની પ્રાથમિકતા છે, તેથી કુલદીપ યાદવ માટે મુખ્ય કોચની યોજનામાં ફિટ બેસવું મુશ્કેલ બની જાય છે.

ઓસ્ટ્રેલિયામાં ફક્ત વન-ડે મેચ એ નિષ્કર્ષ પર પહોંચવા માટે પુરતી નથી કે ગંભીરની ત્રણ ઓલરાઉન્ડરોને રમાડવાની રણનીતિ યોગ્ય છે કે નહીં.ભારતે વરસાદના કારણે પ્રભાવિત ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડે મેચમાં ફક્ત 136 રન કર્યા હતા. જો ભારત ઓસ્ટ્રેલિયા સામેની આગામી વન-ડેમાં ત્રણ ઓલરાઉન્ડર સાથે ઉતરશે તો કુલદીપ યાદવને તક મળવી મુશ્કેલ થઈ શકે છે. ભારત 23 ઓક્ટોબરે એડિલેડમાં બીજી વન-ડે રમશે.

પૂર્વ સ્ટાર સ્પિનર આર.અશ્વિને પોતાની યુ-ટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે કુલદીપ યાદવને ટીમની બહાર રાખવો તેની માનસિકતાને અસર કરી શકે છે. કુલદીપ કદાચ વિચારશે કે હું આટલી સારી બોલિંગ કરી રહ્યો છું, તે પછી પણ હું રમી રહ્યો નથી, તો શું હું આ ટીમમાં સમસ્યા છું? આ એક નિરાશ કરનારી લાગણી છે અને દરેક જણ તેને સંભાળી શકતું નથી. ઘણા લોકો તેને સંભાળી શકતા નથી. અશ્વિને કહ્યું હતું કે જો રેડ્ડીના રૂપમાં ઝડપી બોલિંગ કરનાર ઓલરાઉન્ડર હોય તો કુલદીપને ટીમમાં સામેલ ન કરવાનું કોઈ કારણ નથી.

અશ્વિને કહ્યું હતું કે "નીતીશ ટીમમાં હોવાથી, જો તમે તમારા શ્રેષ્ઠ સ્પિનરને રમાડી શકતા નથી તો મને ખબર નથી," અશ્વિન એ સિદ્ધાંત પર સહમત નથી કે નંબર 8 બેટ્સમેન ટોપ-ઓર્ડર માટે સુરક્ષા કવચ તરીકે કામ કરશે.

2017માં કુલદીપના ડેબ્યૂ પછી ભારતે ઓસ્ટ્રેલિયામાં છ વનડે મેચ રમી છે. કુલદીપ યાદવે 2018-19 શ્રેણી દરમિયાન તેમાંથી બેમાં સ્થાન મેળવ્યું છે. એક મેચમાં 10 ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરને પસંદ કરવામાં આવ્યાનું મુખ્ય કારણ બેટિંગ છે. બીજી બાજુ, કુલદીપ સામે રમવું મુશ્કેલ રહે છે. ફ્લાઇટ અને ડિપ તેના મુખ્ય હથિયારો હોવાથી, તે હંમેશા આક્રમક રહે છે. પસંદગીઓ સરળ નથી પણ ગંભીર અને શુભમન ગિલે નક્કી કરવું પડશે કે તેઓ શું પસંદ કરવા માંગે છે.