ક્રિકેટ અને ગ્લેમર વર્લ્ડના ચોલી-દામનના વર્ષો જૂના સંબંધો છે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે અને આ નામ એટલે ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને પંજાબી અભિનેત્રી સમરીન કૌર. બંનેના સંબંધોને લઈને અવારનવાર નવી નવી વાતો સામે આવતી રહી છે અને હવે તો આઈપીએલ 2026ની વચ્ચે અર્શદીપ અને સમરીન સાથે ગુરુદ્વારામાં જોવા મળતાં ફેન્સમાં કુતુહલ જોવા મળી રહ્યું છે. ફેન્સ આને રિલેશનશિપન ઓફિશિયલ કન્ફર્મેશન તરીકે પણ જોઈ રહ્યા છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી...
વર્તમાન સમયમાં આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલો ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ તેની ગેમ કરતાં તેની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં અર્શદીપ સિંહ પંજાબી એક્ટ્રેસ સમરીન કૌર સાથે ફતેહગઢ સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવતો જોવા મલી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ એવું માની રહ્યા છે કે અર્શદીપ અને સમરીને પોતાની રિલેશનશિપને ઓફિશિયલ કરી દીધી છે.
વાઈરલ થઈ રહેલાં વીડિયો સિવાય પણ અર્શદીપ અને સમરીન બંનેએ ફતેહગઢ સાહિબ ગુરુદ્વારાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. બંનેના ફોટા એક જ એન્ગલ અને એક જ સમયના હોવાથી ફેન્સે તેને રિલેશનશિપનું કન્ફર્મેશન માની લીધું છે.
જોકે, ગુરુદ્વારા પહેલાં આ જોડીને એરપોર્ટ પર પણ એકસાથે સ્પોટ કરવામાં આવી હતી, જે બાદ તેમના ડેટિંગની ચર્ચાઓ શરૂ થઈ હતી. આ બધા વચ્ચે અર્શદીપ સિંહનું આ રીતે સમરીન કૌર સાથે ગુરુદ્વારા પહોંચવું એ કંઈક તો નવી એનાઉન્સમેન્ટ ટૂંક સમયમાં જ કરવામાં આવશે એ તરફ ઈશારો કરી રહ્યું છે.
વાત કરીએ અર્શદીપની ગેમની તો તે અત્યારે પંજાબ કિંગ્સ (PBKS) માટે રમી રહ્યો છે. પંજાબની ટીમ ભલે સ્કોર ટેબલમાં મજબૂત સ્થાન ધરાવી રહી હોય પણ અર્શદીપનું વ્યક્તિગત પ્રદર્શન આ વખતે થોડું નબળું રહ્યું છે; તેણે 4 મેચમાં માત્ર 2 જ વિકેટ લીધી છે. અર્શદીપ સિંહ તેની 100મી IPL વિકેટથી માત્ર એક ડગલું દૂર છે. અત્યાર સુધી તેણે 86 મેચમાં 99 વિકેટ ઝડપી છે.