રામબન: જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. જેમાં જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન નજીક બે બસો આમને સામને ટકરાઇ હતી. જેમાં 18 લોકો ઘાયલ થયા છે.
સુરક્ષા દળો અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી
આ અકસ્માતની જાણ થતાં જ સુરક્ષા દળો અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ અકસ્માતમાં ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરીને રજા આપી હતી.
જમ્મુ કાશ્મીર ટૂરિઝમની બે બસો વચ્ચે અકસ્માત
આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ શ્રી નગર હાઈવે પર ચંદરકોટ લંગર પોઇન્ટ પાસે બે બસો વચ્ચે ટક્કર થઇ હતી. જમ્મુ કાશ્મીર રોડ ટ્રાન્સપોર્ટની બે બસો અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને લઇને જઇ રહી હતી. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો જેમાં 18 લોકો ઘાયલ થયા હતા.
ઘાયલ શ્રદ્ધાળુઓની હાલત સ્થિર
આ અંગે રામબનના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કમલ જાદુએ જણાવ્યું કે, ઘાયલ શ્રદ્ધાળુઓની હાલત સ્થિર છે. તેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. તેમજ આ સ્થળે કેમ્પમાં હાજર મેડિકલ ટીમે તેમની પ્રાથમિક સારવાર કરી હતી અને બાદમાં જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જિલ્લા હોસ્પિટલમાં તેમના ટેસ્ટ કરીને સારવાર આપવામાં આવી હતી.