આગ્રા: દેશમાં સોનમ રધુવંશી અને સિયા બાદ હવે ઉત્તર પ્રદેશના આગ્રાના બાથરૂમ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ હત્યાના કિસ્સા બાદ પોલીસ અને સ્થાનિક લોકો બંને સ્તબ્ધ થઈ ગયા છે.
45 દિવસથી એક વ્યક્તિ ગુમ હતો
આ અંગે મળતી વિગત મુજબ 45 દિવસથી એક વ્યક્તિ ગુમ હતો. આ અંગેની પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. તેમજ તપાસ બાદ જ્યારે પોલીસને શંકા ગઇ ત્યારે વ્યક્તિના ઘરના બાથરૂમનો ફ્લોર તોડ્યો ત્યારે તેનો મૃતદેહ તેની નીચેથી મળી આવતા પોલીસ સ્તબ્ધ થઇ હતી. જેની બાદ પોલીસે મૃતકની પત્નીને કસ્ટડીમાં લીધી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે આ ઘટનામાં બીજા કોઈની ભૂમિકા છે કે નહિ.
સુરેન્દ્ર કુમાર શર્મા 18 મે થી ગુમ
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ આગ્રાના સિકંદરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ પ્રાચી ટાવર પોલીસ ચોકીમાં આવેલી રેણુકા ધામ કોલોનીમાં બની હતી. જેમાં 44 વર્ષીય સુરેન્દ્ર કુમાર શર્મા 18 મે થી ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. તેમનો પરિવાર અને સંબંધીઓ શોધી રહ્યા હતા.
જૂના કેસની ચકાસણી દરમિયાન આ રહસ્ય ખુલ્યું
આ સમયગાળા દરમિયાન તેમની પત્ની રૂબી લોકોને કહેતી રહી કે સુરેન્દ્ર ક્યાંક ગયો છે અને ટૂંક સમયમાં પાછો આવશે. આખરે 26 મે ના રોજ ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે એક જૂના કેસની ચકાસણી દરમિયાન આ રહસ્ય ખુલ્યું હતું
પોલીસના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન ઘણી વિગતો મળી ન હતી. શુક્રવારે, પોલીસે એક જૂના કેસની ચકાસણી સંદર્ભે ફરીથી ઘરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પત્નીનું વર્તન પોલીસને શંકાસ્પદ લાગ્યું.
મૃતકના ભાઈ અનિલ શર્માએ પણ પોલીસને માહિતી આપી હતી
તેમજ મૃતકના ભાઈ અનિલ શર્માએ પણ પોલીસને કેટલીક મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ પોલીસે ઘરની સંપૂર્ણ શોધખોળ કરવાનો નિર્ણય લીધો હતો.
તાજું પ્લાસ્ટર જોઈને પોલીસની શંકા વધુ ઘેરી
તેમજ શોધખોળ દરમિયાન પોલીસને બાથરૂમનો નવો બનેલો ફ્લોર દેખાયો હતો. ત્યાં તાજું પ્લાસ્ટર જોઈને તેમની શંકા વધુ ઘેરી બની હતી. ત્યાર બાદ બાથરૂમનો ફ્લોર ખોદવામાં આવ્યો ત્યારે તેની નીચેથી સુરેન્દ્ર કુમાર શર્માનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતો અને ઘટનાસ્થળે મોટી ભીડ એકત્ર થઈ હતી.