મુંબઈઃ આ વર્ષે એપ્રિલ મહિનામાં ગરમી અને ભેજવાળા હવામાનને કારણે મુંબઈવાસીઓ પરસેવાથી લથપથ થઈ ગયા છે, પરંતુ હવે મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર છે. રેલવેએ આવતીકાલથી પશ્ચિમ રેલવે અને હાર્બર લાઇનમાં એસી લોકલ ટ્રેનોની ફ્રિક્વન્સી વધારવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ રેલવે પર 12 એસી ટ્રેન દોડાવાશે
ઘણા સમયથી મધ્ય અને પશ્ચિમ રેલવેના રુટ પર એસી લોકલ ટ્રેનોની સંખ્યા વધારવાની માંગ કરવામાં આવી હતી. હવે પશ્ચિમ રેલ્વે રૂટ પર 12 એસી લોકલ ટ્રેનો ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત, 15 કોચવાળી લોકલ ટ્રેનોની 17 ફેરી વધારવામાં આવી છે.
ભીડના સમયે એસી લોકલ
પશ્ચિમ રેલવે પર હાલમાં દોડતી 12 બિન-વાતાનુકૂલિત લોકલ ટ્રેનોને એસી લોકલ તરીકે દોડાવવામાં આવશે. સવાર અને સાંજના ધસારાના સમયે કુલ ચાર એસી લોકલ ટ્રેનો ઉમેરવામાં આવી છે. આનાથી એસી લોકલ ટ્રેનોની કુલ સંખ્યા 133થી વધીને 145 થશે. મુસાફરોને રજાના દિવસે વધારાની ટ્રેનો પણ મળશે. નોંધનીય છે કે, શનિવાર અને રવિવારે પહેલા 106 ને બદલે હવે 118 લોકલ ટ્રેનો દોડશે.
હાર્બર લાઇન પર 14 એસી લોકલ
પશ્ચિમ રેલ્વેની સાથે, હાર્બર લાઇન પર એસી લોકલ ટ્રેનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને પનવેલ/વાશી વચ્ચે, 14 નોન-એસી લોકલ ટ્રેનોને એસી લોકલ ટ્રેનો તરીકે ચલાવવામાં આવશે. આમાં સવાર અને સાંજના ધસારાના સમયે બે ટ્રેનોનો સમાવેશ થશે. આમ, હાર્બર લાઇન પર ટ્રેનોની સંખ્યા વધીને 108 થશે.
વિરાર-દહાણુ રૂટ પર 15 કોચની લોકલ
વિરાર-દહાણુ રૂટ પર મુસાફરી કરનારાઓ માટે પણ સારા સમાચાર છે. આ રૂટ પર, ચર્ચગેટ થી વિરાર-દહાણુ વચ્ચે 15 કોચની 17 લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. આમાં સવાર અને સાંજના ધસારાના સમયે પાંચ ટ્રીપનો સમાવેશ થશે. આમાંથી આઠ ટ્રીપ પહેલી વાર વિરાર-દહાણુ રૂટ પર દોડાવવામાં આવશે.