લખનઉઃ ઉત્તર પ્રદેશના લખનઉમાં આવેલા કૈંચી ધામ જઈ રહેલા પરિવારને રસ્તામાં કાળ ભરખી ગયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રસ્તામાં અકસ્માત નડતા એક જ પરિવારના તમામ લોકોનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું. પરિવાર સાથે ડ્રાઈવરનું પણ મોત થઈ ગયું છે. આ મામલે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું છે. આ અકસ્માત ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં થયો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભવાલી ક્ષેત્રમાં આ પરિવારની કાર ખીણમાં ખાબકી ગઈ હતી.
ગાડી ખીણમાં ખાબકી તેનામાં સવાર એક જ પરિવારના ચાર સભ્યો સહિત પાંચ લોકોનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે. અકસ્માત અંગે જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસ દ્વારા બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મુખ્ય પ્રધાન દ્વારા જિલ્લા તંત્રને સૂચના આપવામાં આવી છે કે, આ મામલે બચાવ કાર્ય ઝડપી કરવા માટે કહેવામાં આવ્યું છે.
હોસ્પિટલમાં પાંચેય વ્યક્તિઓને મૃત જાહેર કરી દીધા
આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં બધાને ઝડપથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. જોકે, ડૉક્ટરોએ પાંચેય વ્યક્તિઓને મૃત જાહેર કરી દીધા હતા. સીએમ ધામીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે જ્યાં અકસ્માત થયો તે સ્થળ કૈંચી ધામ માટે પ્રસ્તાવિત બાયપાસ છે, અને ત્યાં બાંધકામનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. આ રૂટ પર ઘણા સ્થળોએ સલામતીના પગલાં અપૂરતા છે અને તીવ્ર વળાંકો હોવાના કારણે અકસ્માતો વધી રહ્યાં છે.
લખનઉના પરિવારને રસ્તામાં અકસ્માત નડ્યો
આ અકસ્માત અંગે વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, અકસ્માતમાં જેમનું મોત થયું તે પરિવાર લખનઉનો રહેવાસી હતો. આ પરિવાર ગાડી લઈને સેનેટોરિયમ-રાતિઘાટ બાયપાસ રોડ થઈને કૈંચી ધામ જઈ રહ્યો હતો. પરંતુ ઢૈલા ગામ પાસે ગાડીએ અચાનક નિયંત્રણ ગુમાવ્યું હતું એટલે તે 500 મીટર નીચે ખીણમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં 48 વર્ષીય ભૂપેન્દ્ર સિંહ ચુફાલ, 45 વર્ષીય સીમા કૈડા ચુફાલ, 34 વર્ષીય અનુજ કુમાર મિશ્રા, 19 વર્ષીય વાસૂ ચુફાલ અને 12 વર્ષીય રવિ ચુફાલનું ઘટનાસ્થળ પર મોત થયું છે.