સુપ્રીમ કોર્ટે મીડિયા ટ્રાયલ સામે નારાજગી વ્યક્ત કરી, CBI તપાસ પર મુક્યો ભરોસો
નવી દિલ્હીઃ ટ્વિશા શર્મા મોત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ભોપાલના હાઈ પ્રોફાઈલ કેસ મામલે સૉલિસિટર જનરલ (SG) તુષાર મહેતાઓ મહત્વની ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, છૂટાછેડા લીધેલી દીકરી મૃત દીકરી કરતા વધુ સારી. તેમણે ટ્વિશા શર્માના પરિવારજનો પર પણ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું હતું કે, સમય રહેતા તેમણે પુત્રીની ફરિયાદો પર ધ્યાન આપવું જોઈતું હતું.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જૉયમાલ્યા બાગચી તથા ન્યાયાધીશ વિપુલ એમ પંચોલીની બેંચ સામે મધ્ય પ્રદેશ સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મેહતા હાજર થયા હતા. જ્યારે આરોપી પરિવાર તરફથી વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવે ઉપસ્થિત રહ્યા હતા.
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુનાવણી દરમિયાન ટ્વિશાના સાસુ અને પૂર્વ જિલ્લા ન્યાયાધીશ ગિરિબાલા સિંહે ટીવી ચેનલ્સને આપેલા ઈન્ટરવ્યૂ, પોતાની વહુને બદનામ કરવાની કોશિશ કરવા તથા તપાસમાં સહયોગ નહીં આપવાની દલીલ કરી હતી. જ્યારે સીજેઆઈ સિદ્ઘાર્થ દવે મીડિયા રિપોર્ટ્સને લઈ નારાજગી વ્યક્ત કરી હતી.
સીજેઆઈ સૂર્યકાંતે સિદ્ધાર્થ દવેની દલીલો પર કહ્યું, અમે કોઈપણ ધારણા ઊભી કરવાના વિરુદ્ધમાં છીએ, એટલા માટે જ સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે તેમને પોલીસ અને ન્યાયતંત્ર પર ભરોસો છે. આ સાથે જ તેમણે મીડિયાને જવાબદારીપૂર્વક પોતાનું કામ કરવા, કોઈ પણ પક્ષના નિવેદનો પર દાવા નહીં કરવા અને પક્ષકારોના મિત્રો તેમ જ સંબંધીઓ સાથે વાત ન કરવાની અપીલ કરી હતી.
આ ઉપરાંત, એસજી તુષાર મહેતાએ કહ્યું હતું કે અનેક વખત ગિરિબાલા સિંહના નિવેદન લેવાની કોશિશ કરવામાં આવી, પરંતુ તેઓ આનાકાની કરી રહ્યા છે. સાસુએ તપાસમાં સહયોગ નથી આપ્યો. ગિરિબાલાના વકીલે તેનો વિરોધ કર્યો અને કહ્યું આ ખોટું છે. આવી વાત ન કરવી જોઈએ, તેમનું નિવેદન નોંધવું જોઈએ.
દરમિયાન ન્યાયાધીશ સૂર્યકાંતે આ મુદ્દે મીડિયા ટ્રાયલ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ ઘટનાથી બહુ દુખ થયું છે. મીડિયાને અનુરોધ કરીએ છીએ કે આ પુરાવા, મિત્રો અને સંબંધીઓના નિવેદનોને રેકોર્ડ કરીને પ્રસારિત કરવામાં આવે નહીં. જ્યારે આરોપી પક્ષના વકીલ સિદ્ધાર્થ દવેએ મીડિયામાં છપાયેલા નિવેદનોને ટાંક્યા ત્યારે સીજીઆઈએ કડક શબ્દોમાં કહ્યું કે અમે બનાવટી અહેવાલોની વિરોધમાં છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પીડિતાના પરિવારોની સાથે તેમની સંપૂર્ણ સહાનુભૂતિ છે અને કાયદા હેઠળ નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરશે.
ટ્વિશા શર્માના પરિવાર તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું, ઘટનાના ત્રણ દિવસ બાદ એફઆઈઆર નોંધાયો, પુરાવાને સુરક્ષિત રાખવામાં પણ બેદરકારી દાખવવામાં આવી. ગિરિબાલા સિંહ ખુદનો કૉલ ડેટા રેકોર્ડ રજૂ કરતા હતા, જેની મંજૂરી પણ આપવામાં આવી નહોતી.
ટ્વિશાની સાસુને આગોતરા જામીન મળશે કે નહીં?
ટ્વિશા શર્માના મોત મામલે મધ્ય પ્રદેશ હાઈ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તેની સાસુ ગિરિબાલા સિંહની આગોતરા જામીન અરજીને લઈ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. હાલ કોર્ટમાં દલીલો થઈ રહી છે.