Wed Jun 10 2026

Logo

સુષ્મિતા પછી હવે સાયાનીનો બળવો? મમતા દીદીને ઝટકા પર ઝટકો, TMCમાં બળવાખોરોની મોજ

2026-06-10 15:08:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી (TMC) ટુકડાઓમાં વહેંચાઈ ગઈ છે. ટીએમસીને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. આજે પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા સુષ્મિતા દેવે પાર્ટી અને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે, તો બીજી તરફ હવે પછીનો નંબર મમતાના બીજા ફાયરબ્રાન્ડ નેતા સાયાની ઘોષનો સામે આવી રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, હવે સાયાની ઘોષ પણ ટીએમસીના 20 બળવાખોર સાંસદોની યાદીમાં સામેલ થઈ ગયા છે. સાયાની ઘોષે સ્પીકર (અધ્યક્ષ)ને પત્ર લખીને અલગ બેસવાની અને એનડીએ (NDA)ને સમર્થન આપવાની જાહેરાત કરી છે. સાયાની ઘોષનું આ રીતે મમતા બેનર્જી અને તેમની પાર્ટી ટીએમસી છોડવું એ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

સયાની ઘોષ કોણ છે?

સયાની ઘોષ TMCના એક તેજસ્વી અને આક્રમક (ફાયરબ્રાન્ડ) નેતા છે. તેઓ પશ્ચિમ બંગાળના એક જાણીતા બંગાળી અભિનેત્રી અને ગાયિકા હોવાની સાથે-સાથે TMCના સાંસદ પણ છે. હાલમાં તેઓ જાદવપુર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે મમતા બેનર્જીની પાર્ટી TMC છોડીને પક્ષના બળવાખોર સાંસદો સાથે જવાની વાત કહી છે.

વિવાદો અને સયાની એક સિક્કાની બે બાજુ 

લોકસભામાં પોતાના નિવેદનો અને કવિતાઓ દ્વારા સત્તાધારી પક્ષ (સરકાર) પર કટાક્ષ કરવાને કારણે તેઓ ચર્ચામાં રહ્યા છે. આ ઉપરાંત, બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે ગાયેલું ગીત 'મેરે દિલ મેં હૈ કાબા ઔર આંખો મેં મદીના' ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આ ગીતને કારણે તેમને ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. આ ગીત મુદ્દે ભાજપના નેતાઓએ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું અને મુસ્લિમ તુષ્ટિકરણના આરોપો લગાવ્યા હતા.

આખરે સયાની કેમ બળવાખોર બન્યા?

માહિતી મુજબ, TMCના ફાયરબ્રાન્ડ નેતા સયાની ઘોષને પાર્ટીમાં પોતાનું રાજકીય ભવિષ્ય સુરક્ષિત નથી લાગી રહ્યું. એવી પણ ખબર સામે આવી રહી છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે તેઓ વિપક્ષના નિશાના પર હતા, ત્યારે પાર્ટી નેતૃત્વએ ખુલ્લેઆમ તેમનો સાથ આપ્યો નહોતો.

સૂત્રોનું કહેવું છે કે મુશ્કેલ સમયમાં તેમણે પોતાને એકલા અનુભવ્યા હતા. કોઇએ તેમને સાથ નહોતો આપ્યો અને તેમને પોતાનો ચૂંટણી પ્રચાર સમય કરતાં વહેલો પૂરો કરવા માટે કહી દેવામાં આવ્યું હતું. સયાની ઘોષ આ જ વાતથી નારાજ છે. જો કે, તેમની તરફથી કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) તરફથી આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.