કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ટીએમસી કારમી હાર બાદ ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જી પર ટોળાએ હુમલો કર્યો હતો. જેની બાદ રાજકારણ ગરમાયું છે. ટીએમસી સાંસદ ચૂંટણી પછીની હિંસાથી પ્રભાવિત પરિવારોને મળવા માટે ગયા હતા. જેની બાદ તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હું અમે ઝૂકીશું નહી. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ હુમલાની આકરી નિંદા કરી હતી.
ભાજપની બદલાની રાજનીતિનો ઘૃણાસ્પદ ચહેરો
જેની બાદ અભિષેક બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો શરૂ કરીને રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધીએ આ હુમલાને લોકશાહી પર હુમલો ગણાવ્યો. તેમણે કહ્યું, સોનારપુરમાં સાંસદ અભિષેક બેનર્જી પર થયેલો હુમલો ખૂબ જ નિંદનીય છે. સાંસદ પર હુમલો એ ફક્ત એક વ્યક્તિ પર હુમલો નથી તે તેમને ચૂંટનારા લોકો પર અને લોકશાહી પર હુમલો છે. આ ભાજપની બદલાની રાજનીતિનો ઘૃણાસ્પદ ચહેરો રજૂ કરે છે. રાજકીય મતભેદો ક્યારેય હિંસાને યોગ્ય ઠેરવી શકશે નહી.
સરકાર ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લે
રાહુલ ગાંધીએ વધુમાં માંગ કરી હતી કે કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ બંને સરકાર ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લે અને ખાતરી કરે કે કોઈપણ જનપ્રતિનિધિ ભલે કોઇપણ પક્ષનો હોય તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે અભિષેક બેનર્જી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતી વખતે ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી.
ભાજપ પર દેશને વિભાજીત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ
અભિષેક બેનર્જીએ ભાજપ પર દેશને વિભાજીત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. અભિષેક બેનર્જીએ કહ્યું, રાહુલ ગાંધી તમારી ચિંતા અને સમર્થન બદલ આભાર. અમે ભારતના આત્માનું રક્ષણ કરવા લોકશાહી સંસ્થાઓનું રક્ષણ કરવા અને આપણા બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને જાળવી રાખવાની અમારી લડાઈમાં એકતા અને દૃઢતાથી ઊભા છીએ.