Sat May 02 2026

Logo

AAPમાંથી ભાજપમાં જોડાયેલા નેતાની થઈ શકે છે ધરપકડ, જાણો વિગત

2026-05-02 14:07:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવેલા રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક પર પંજાબમાં 2 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સંદીપ પાઠક સામે પંજાબમાં બે અલગ અલગ જિલ્લામાં કેસ નોંધાયો છે.  બંને એફઆઈઆરમાં બિન જામીન પાત્ર કલમો લગાવવામાં આવી છે. જેતી હવે સંદીપ પાઠકની ધરપકડનો ખતરો તોળાઈ રહ્યો છે. તેઓ AAPમાંથી બળવો કરીને રાઘવ ચઢ્ઢા સાથે ભાજપમાં સામેલ થયા હતા.

આ દરમિયાન સંદીપ પાઠકનું પ્રથમ રિએક્શન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મને કોઈ પોલીસ ફરિયાદની જાણકારી નથી. પોલીસ અધિકારી અંગે પણ મને જાણ કરવામાં આવી નથી. મેં મારી સમગ્ર જિંદગી ઈમાનદારી અને નિષ્ઠા સાથે દેશસેવામાં વીતાવી છે. ભારત, કોઈપણ પાર્ટીથી મોટો છે. હું ક્યારેય દેશ સાથે દહો નહીં કરું અને કોઈને નહીં કરવા દઉં. મારા જેવા વ્યક્તિ સામે શરૂ કરવામાં આવેલી કાર્યવાહી તેમની બદલાની ભાવના દર્શાવે છે.

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકના ઘરે દિલ્હી પોલીસ પહોંચી ત્યારે તેઓ તેમના સરકારી નિવાસ સ્થાનના પાછલા દરવાજેથી ગાડીમાં બેસીને નીકળતા કેમેરામાં કેદ થયા હતા. આ દરવાજાનો ઉપયોગ સામાન્ય રીતે આવવા-જવા માટે નથી કરવામાં આવતો. ઘરેથી નીકળતી વખતે તેઓ ઉતાવળમાં હોય તેમ પણ લાગતું હતું. તેમજ તેમના હાથમાં એક સૂટકેસ પણ હતી.

 

ઉલ્લેખનીય છે કે, 24 એપ્રિલે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક સહિત આમ આદમી પાર્ટીના 7 સાંસદ ભાજપમાં સામેલ થયા હતા. અન્ય સાંસદો સ્વાતિ માતીલાવ, હરભજન સિંહ, વિક્રમજીત સિંહ સાહની, અશોક મિત્તલ, રાજેન્દ્ર ગુપ્તા હતા.