અયોધ્યા: અયોધ્યામાં રામમંદિર દાન ચોરી કેસમાં તપાસ તેજ બની રહી છે. જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રામ મંદિર પરિસરના વ્હીલચેર ચલાવનાર ચાલકો પાસે આવક કરતાં વધુ સંપત્તિના કિસ્સા મળી આવ્યા છે. જેમાં અનેક વ્હીલચેર ચાલકો પાસે કાર અને આવક કરતાં વધુ સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. જેના પગલે હવે આ લોકોની પણ તપાસ કરવામાં આવશે.
ચેટ લોગમાંથી અનેક ખુલાસા થયા
આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર, રામ મંદિર દાન ચોરીમાં સંડોવાયેલા આરોપીઓના મોબાઇલ ફોનમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. આ આરોપીઓના ફોન પર મળેલા ચેટ લોગમાંથી અનેક ખુલાસા થયા છે.આ ચેટ્સ ચોરાયેલા નાણાંના વિભાજન અંગેની વાતચીતનો ખુલાસો કરે છે.
અનિલ મિશ્રાની દેખરેખ હેઠળ બેંકમાં જમા કરવામાં આવતા હતા
રામ મંદિર સંકુલનું સંચાલન ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, ડૉ. અનિલ મિશ્રા અને ગોપાલ રાવને સોંપવામાં આવ્યું હતું. જ્યારે દાનના નાણાં ડૉ. અનિલ મિશ્રાની દેખરેખ હેઠળ બેંકમાં જમા કરવામાં આવતા હતા.
આ ઉપરાંત ટીનુ યાદવ પર ચંપત રાયને વિશ્વાસ હતો. તેમજ કર્મચારીઓ ટીનુ યાદવના આદેશનું પાલન કરતા હતા. જ્યારે ટીનુ યાદવનો ભાઈ બલરામ યાદવ પણ ગણતરી ખંડ અને દાનપેટીઓની ચાવીઓ રાખતો હતો. તેમજ મંદિર સંકુલમાં ટીનુ યાદવના સંબંધીઓની સંખ્યા સૌથી વધુ હતી.
ટ્રસ્ટ સમગ્ર શહેરમાં એક સમાંતર વ્યવસ્થા ચલાવતું હતું
તેમજ ચંપત રાયે ટોચના સ્તરે અનિલ મિશ્રાને અને નીચાના સ્તરે ટીનુ યાદવને છૂટ આપી હતી. ટ્રસ્ટ ફક્ત મંદિરની અંદર જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં એક 'સમાંતર વ્યવસ્થા' ચલાવતું હતું. તેમજ ટ્રસ્ટના આદેશ પર જ પોલીસે દરોડા પાડીને જપ્ત કરાયેલ નાણાં ટ્રસ્ટના પદાધિકારીઓને સોંપ્યા હતા.