મુંબઈઃ ભૂતપૂર્વ રાજ્યપ્રધાન સુબોધ સાવજીએ ભારતના રાષ્ટ્રપતિને પત્ર લખીને વિનંતી કરી છે કે અયોધ્યામાં શ્રી રામ મંદિર અને તેના ટ્રસ્ટનો વહીવટ શેગાંવના વિશ્વ વિખ્યાત શ્રી ગજાનન મહારાજ સંસ્થાન અથવા ભારતીય સેનાને સોંપવામાં આવે.
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં થતી ચોરી અને કથિત ભ્રષ્ટાચાર આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિષ્ઠાને કલંકિત કરી રહ્યા છે તે ભારપૂર્વક જણાવતા સાવજીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્રમાં આ અપીલ કરી છે.

પત્રમાં અયોધ્યાના શ્રી રામ મંદિરમાં થયેલા કથિત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની સઘન તપાસની માંગ કરી છે અને આગ્રહ કર્યો છે કે રામ મંદિરમાં ચોરી માટે જવાબદાર લોકોને ફાંસીની સજા આપવામાં આવે.
વધુમાં, શેગાંવના 'ગજાનન મહારાજ સંસ્થાન'ના અનુકરણીય પારદર્શક વહીવટ તેમ જ ભારતીય સેનાની પ્રામાણિકતા અને શિસ્તનો ઉલ્લેખ કરીને તેમણે માંગ કરી છે કે અયોધ્યા રામ મંદિરનું સંપૂર્ણ નિયંત્રણ આ બેમાંથી કોઈ એક સંસ્થાને સોંપવામાં આવે. દરમિયાન રાષ્ટ્રપતિ આ બાબતમાં શું પ્રતિભાવ આપે છે, તે જાણવું રસપ્રદ ઠરશે.