મુંબઈ : સેબી દ્વારા 15.15 લાખ કરોડની આવકની હેરાફેરી અને છેતરપિંડીના આરોપમાં ઘેરાયેલી રાજેશ એક્સપોર્ટ્સના ચેરમેન રાજેશ મહેતાએ ફંડ ડાયવર્ઝનના આરોપ નકાર્યા છે. તેમણે જણાવ્યું છે કે સેબીની એન્ટ્રી ખોટી રીતે સમજી છે. તેમજ કહ્યું કે તેમની પેટા કંપની ACC એનર્જીમાં ફંડ ડાયવર્ઝન કરવામાં નથી આવ્યું. સેબી દ્વારા કંપની અને તેના પ્રમોટર ચેરમેન રાજેશ મહેતા પર વચગાળાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પેટાકંપની આવક ખોટી રીતે રજૂ કરવામાં આવી
જેમાં સેબીએ 3 જૂનના રોજ તેના વચગાળાના આદેશમાં રાજેશ એક્સપોર્ટના ચેરમેન દ્વારા નિયંત્રિત એસીસી એનર્જી સ્ટોરેજ અને એલેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ એકમોમાં ફંડ ડાયવર્ઝનના પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ આદેશમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે વર્ષ 2021 અને 2025 નાણાકીય વર્ષો દરમિયાન રૂપિયા 15.15 લાખ કરોડની પેટાકંપની આવક ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. આ આંકડો કુલ આવકના 99.8 ટકા છે. સેબીએ રાજેશ મહેતાને રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડના શેરમાં વેપાર કરવાથી પ્રતિબંધિત કર્યા છે અને ફોરેન્સિક ઓડિટનો આદેશ આપ્યો છે.
સમગ્ર મામલો હવે તપાસ હેઠળ
આ કંપનીએ જણાવ્યું છે કે તે સ્પષ્ટતા આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ગંભીર આરોપોએ કંપનીની વિશ્વસનીયતા પર શંકા ઉભી કરી છે. રાજેશ મહેતાએ આ બધા દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. તેમજ કહ્યું કે સેબીએ એકાઉન્ટિંગ એન્ટ્રીઓનું ખોટું અર્થઘટન કર્યું છે. આ સમગ્ર મામલો હવે તપાસ હેઠળ છે.