જયપુર: રાજસ્થાન હાઇકોર્ટે 13 વર્ષ બાદ પ્રથમ વાર આસારામને 20 દિવસના પેરોલ મંજૂર કર્યા છે. આસારામ સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. આ અંગે હાઇકોર્ટે જણાવ્યું હતું કે સરકારની દલીલોનો કોઇ નક્કર આધાર નથી. તેથી તેમને શરતી મુકિતની આદેશ આપવામાં આવે છે.
પેરોલ મંજૂર કરવામાં આવે તો તે ફરાર થઈ શકે
આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કોર્ટને જાણ કરી કે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં પેરોલ અરજી ફગાવી દેવાની ભલામણ કરવામાં આવી હતી. પોલીસે એવી આશંકા વ્યક્ત કરી હતી કે જો પેરોલ મંજૂર કરવામાં આવે તો તે ફરાર થઈ શકે છે.
આસારામ વિરુદ્ધ અનેક ફોજદારી કેસ નોંધાયેલા
સરકારે વધુમાં જણાવ્યું હતું કે રાજસ્થાનની બહાર પણ આસારામ વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે અને ગુજરાતની એક કોર્ટે પણ તેને દોષિત ઠેરવ્યો છે. સરકારે કોર્ટ સમક્ષ એવી પણ દલીલ કરી હતી કે આસારામ તબીબી સારવાર લઈ રહ્યા છે અને તબીબી અધિકારીએ તેને પેરોલ પર મુક્ત કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ નથી કર્યું. તેમજ ફરિયાદીના પરિવારની સલામતી અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.