બેંગલુરુ: દરિયામાં અચાનક બોટનું એન્જિન બંધ થઈ જતાં દરિયા વચ્ચે ફસાઈ ગયેલા માછીમારોની વહારે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ આવ્યું હતું. કોસ્ટ ગાર્ડે સમુદ્રમાં ફસાયેલા માછીમારોને બચાવવા માટે એક સફળ અને ઝડપી ઓપરેશન પાર પાડ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, કર્ણાટકના દરિયાકાંઠેથી 20 નોટિકલ માઈલ દૂર 'કારુણ્યમ' (IND-TN-15-MM-7971) નામની માછીમારી બોટનું એન્જિન અચાનક ખોટવાઈ ગયું હતું. આ બોટ દરિયામાં અટવાઈ ગઈ હોવાની જાણ થતાં જ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું જહાજ C-448 તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને 22 ઓગસ્ટની રાત્રે એક સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
ખરાબ હવામાન અને તોફાની દરિયા વચ્ચે પણ તટરક્ષક દળની ટીમે ભારે જહેમત ઉઠાવીને આ ફસાયેલી બોટને શોધી કાઢી હતી. કોસ્ટ ગાર્ડના જવાનોએ બોટમાં સવાર તમામ 9 ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ કર્યો હતો અને તેઓને સુરક્ષિત રીતે મેંગ્લોરના જૂના બંદર ખાતે લાવવામાં આવ્યા હતા. આ સફળ બચાવ કામગીરીથી કોસ્ટ ગાર્ડે ફરી એકવાર દરિયામાં પ્રાણ જોખમમાં મુકાયેલા માછીમારોના જીવને બચાવી લીધા હતા.
@IndiaCoastGuard ship C-448, #NewMangalore, successfully executed a swift night #SearchAndRescue operation on 22 August 2026.
— Indian Coast Guard (@IndiaCoastGuard) August 23, 2026
Due to an engine failure, the fishing vessel Kaarunyam (IND-TN-15-MM-7971) went adrift 20 nautical miles off the #Karnataka coast.
Battling rough… pic.twitter.com/3AZmEAS7ui
ઉલ્લેખનીય છે ગયા અઠવાડિયે નવસારીના કૃષ્ણપુરથી ઓખા બંદર તરફ જઈ રહેલી 'જય માલા' નામની ફિશિંગ બોટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે પાણીમાં ડૂબવા લાગી હતી. ધોલાઈ બંદરથી આશરે બે નોટિકલ માઈલ દૂર ફસાયેલી આ બોટમાં સવાર નવ જેટલા માછીમારોના પ્રાણ જોખમમાં મુકાયા હતા. આ અંગે કટોકટીનો સંદેશ મળતા જ દમણ કોસ્ટ ગાર્ડે તાત્કાલિક ધોરણે ત્વરિત બચાવ અભિયાન શરૂ કર્યું હતું.
કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન, દમણના પાયલોટ બલવિંદર સિંહે સમગ્ર ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, બોટમાં ઘણા કલાકોથી પાણી ભરાઈ જવાના કારણે તે ડૂબી જવાની અણી પર હતી અને તેમાં સવાર તમામ ખલાસીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. કટોકટીનો આ એલર્ટ મળતાની સાથે જ એર સ્ટેશન દ્વારા વિના વિલંબે ચેતક હેલિકોપ્ટરને રવાના કરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડની સમયસૂચકતા અને સચોટ આયોજનને કારણે દરિયાના વચ્ચે ફસાયેલા તમામ નવ માછીમારોના જીવ બચાવી લેવામાં સફળતા મળી હતી.
Daman: The Coast Guard successfully rescued nine fishermen who were stranded at sea in the Union Territory of Daman. The fishermen were aboard a boat from Navsari that developed a technical fault and began taking on water, putting their lives at risk. The boat, Jai Mala, was… pic.twitter.com/pagkTpZfwh
— IANS (@ians_india) August 18, 2026
હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયા બાદ તમામ માછીમારોએ રાહતનો શ્વાસ લીધો હતો. બચેલા માછીમારો પૈકી એક જણે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, બોટનું એન્જિન બગડી જવાથી અચાનક બંધ થઈ ગયું હતું અને બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું, પરંતુ સમયસર હેલિકોપ્ટર આવી પહોંચતા અમારો આબાદ બચાવ થયો છે અને હવે અમે સુરક્ષિત છીએ. તમામ સુરક્ષિત માછીમારોને દમણ લાવ્યા બાદ તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી અને તેમને જરૂરી સારવાર પણ પૂરી પાડવામાં આવી હતી.