નવી દિલ્હી: નીટ પેપર લીક અને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટીએ સોમવારે સંસદ માર્ચ કરી હતી. જેમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે વિદ્યાર્થીના સમર્થનમાં કોંગ્રેસ આવી છે. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધી પીએમ મોદીના રાજીનામાંની માંગ સાથે પીએમ આવાસ સામે ધરણાં પ્રદર્શન શરૂ કર્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના લોક કલ્યાણ માર્ગ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કે.સી. વેણુગોપાલ સહિત પાર્ટીના અનેક નેતાઓ જોડાયા હતા.
આ નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. જંતર-મંતરથી સંસદ તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ઘાયલ થયેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી
આ ઉપરાંત સંસદ કૂચ હિંસક બન્યાના એક દિવસ બાદ ઘણા નેતાઓએ અથડામણમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા હતા.