(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સોશિયલ મીડિયા પર બાળકોની તસ્કરી કરતી ગેંગના વાયરલ થઈ રહેલા વીડિયો અંગે રાજકોટ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ મહત્વનો ખુલાસો કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે રાજકોટમાં અત્યાર સુધી પોલીસ તપાસમાં અપહરણનો એક પણ કેસ સામે આવ્યો નથી અને બાળકોના અપહરણના જે કિસ્સાઓ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે, તેમાં હજુ સુધી કોઈ તથ્ય જણાયું નથી.
તેમણે લોકોને અપીલ કરી હતી કે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી ભ્રમિત ન થવું અને કાયદો હાથમાં ન લેવો, કારણ કે શંકાના આધારે અનેક નિર્દોષ લોકોને માર મારવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો જોઈએ.
પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને જો કંઈ પણ વાંધાજનક જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. વાલીઓને પણ ખાસ તકેદારી રાખવાની અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે નાના બાળકોનું પૂરતું ધ્યાન રાખવું અને બાળકો ઘરની બહાર એકલા ન નીકળે તે જોવાની જવાબદારી માતા-પિતાની છે. આ મામલે ગભરાટ ફેલાવવાને બદલે જાગૃતિ અને સાવચેતી રાખવી અનિવાર્ય છે.