Sat Jun 06 2026

Logo

ઓપરેશન સિંદૂર બે દિવસ વધારે ચાલ્યું હોત તો PoK ભારતમાં હોત', રાજનાથ સિંહની હાજરીમાં બોલ્યા- જગદગુરુ રામભદ્રાચાર્ય

2026-06-06 10:45:00
Author: Mumbai Samachar Team
Article Image

લખનઉઃ લખનઉમાં આયોજિત શ્રીરામ કથા કાર્યક્રમમાં જગદગુરુ રામભદ્રાચાર્યે 'ઓપરેશન સિંદૂર'ને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જો ઓપરેશન સિંદૂર વધુ બે દિવસ ચાલ્યું હોત, તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકે (PoK) ભારતનો હિસ્સો બની ગયું હોત. તેમના આ નિવેદન દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ મંચ પર હાજર હતા.

જગદગુરુ રામભદ્રાચાર્યે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના કાર્યકાળમાં ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આવેલા નવ આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે જો આ અભિયાન થોડો સમય વધુ ચાલ્યું હોત, તો પીઓકેનું ભારતમાં જોડાણ (વિલય) શક્ય બની શક્યું હોત.

રામભદ્રાચાર્યે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે સેના પ્રમુખે તેમને ગુરુદક્ષિણા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે તેમણે પીઓકે (PoK)ને ભારતમાં પાછું લાવવાની ઈચ્છા જાહેર કરી હતી. આ કાર્યક્રમ લખનૌમાં આયોજિત શ્રીરામ કથા દરમિયાન થયો હતો. કાર્યક્રમમાં મુખ્ય રૂપે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા હતા. રામભદ્રાચાર્યે તેમની તરફ ઈશારો કરતા કહ્યું કે તેઓ ક્ષત્રિય છે અને રાષ્ટ્રની રક્ષાની જવાબદારી તેમના ખભા પર છે.

રાજનાથ સિંહની હાજરીમાં રામભદ્રાચાર્યનો મોટો દાવો

તેમણે એવું પણ કહ્યું કે વર્ષ 2029માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી સરકાર બનાવશે અને રાજનાથ સિંહ ફરી એકવાર સંરક્ષણ મંત્રી (ડીફેન્સ મિનિસ્ટર) તરીકેની જવાબદારી સંભાળશે. રામભદ્રાચાર્યે પોતાના સંબોધનમાં 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કરતા કહ્યું કે આ અભિયાન આતંકવાદ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે વર્ષ 2025માં પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી નેટવર્કને નિશાન બનાવીને 'ઓપરેશન સિંદૂર' ચલાવ્યું હતું.

રામચરિતમાનસને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની માંગ

પોતાના સંબોધન દરમિયાન રામભદ્રાચાર્યે 'જગદગુરુ રામભદ્રાચાર્ય દિવ્યાંગ રાજ્ય વિશ્વવિદ્યાલય'ને કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સેન્ટ્રલ યુનિવર્સિટી)નો દરજ્જો આપવાની માંગ પણ કરી હતી. આ સાથે જ તેમણે રામચરિતમાનસને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની માંગણી પણ મૂકી હતી.

તેમણે કહ્યું કે ભગવાન રામ દેશના કલ્યાણ અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક છે. આ કાર્યક્રમને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ દાયકાથી જગદગુરુ રામભદ્રાચાર્યને ઓળખે છે. તેમણે ઉમેર્યું કે આવી અદ્ભુત સ્મરણ શક્તિ અને અસાધારણ પ્રતિભા તેમણે બીજે ક્યાંય જોઈ નથી. રાજનાથ સિંહે રામભદ્રાચાર્યના જ્ઞાન, સાહિત્ય અને આધ્યાત્મિક યોગદાનની પ્રશંસા કરતા તેમને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા.