રાજકોટ : ગુજરાતના દરિયાકાંઠાના અને નીચાણવાળા 'ઘેડ' વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારની જાહેરાત માત્ર કાગળ પર જ રહ્યો હોવાનો આક્ષેપ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ કર્યો છે. તેમણે સરકારને વેધક પ્રશ્ન પૂછતા જણાવ્યું છે કે સરકારે ઘેડ વિસ્તારના વિકાસ માટે રૂપિયા 1500 કરોડની ફાળવણી કરી હતી તેમાંથી કેટલો ખર્ચ થયો છે. તેનો સરકારે જાહેરમાં હિસાબ આપવો જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા 25 વર્ષમાં સરકારની ઉપેક્ષાને કારણે ઘેડ વિસ્તાર 25 હજાર હેક્ટરથી વધીને 1.25 લાખ હેક્ટરમાં ફેલાયો છે.
1500 કરોડની ફાળવણીમાંથી કેટલા રૂપિયાનો ખર્ચ
આ અંગે તેમણે સરકારને સવાલ પૂછ્યા છે. તેમણે કહ્યું કે 1500 કરોડની ફાળવણીમાંથી કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમજ કેટલા કામોના ટેન્ડર બહાર પડાયા કે કેટલા કામો ખરેખર પૂર્ણ થયા છે તેની વિગતો સરકારે જાહેર કરવી જોઈએ. તેમજ આ રકમમાંથી કેટલા રૂપિયાની સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી અપાઈ તેની વિગતો પ્રકાશિત કરવી જોઈએ.
ઘેડ વિસ્તાર 25 હજાર હેક્ટરથી વધીને 1.25 લાખ હેક્ટરમાં ફેલાયો
પાલ આંબલિયાએ જણાવ્યું કે, છેલ્લા 25 વર્ષમાં સરકારની ઉપેક્ષાને કારણે ઘેડ વિસ્તાર 25 હજાર હેક્ટરથી વધીને 1.25 લાખ હેક્ટરમાં ફેલાયો છે.
ઘેડ વિસ્તારનો પ્રાણ પ્રશ્ન વર્ષોથી યથાવત છે અને માત્ર બજેટની જાહેરાતોથી લોકોના પ્રશ્નો હલ થતા નથી. રાજ્યની સરકારીની સતત ઉપેક્ષાના લીધે આ વિસ્તારના લોકોના પ્રશ્નો વધી રહ્યા છે. ત્યારે સરકારે આ અંગે તાત્કાલિક જવાબ આપવો જોઈએ.