Mon Jun 15 2026

Logo

તમારે આ નહોતું કહેવું જોઇતું...', જયશંકરની વાત પર ફિનલેન્ડના વિદેશ મંત્રીનું રિએક્શન વાયરલ, VIDEO

2026-06-13 15:44:30
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે ફિનલેન્ડના પ્રવાસ દરમિયાન 'કુલ્તારંતા ટોક્સ' (Kultaranta Talks) માં ભાગ લીધો હતો. તેમણે ફિનલેન્ડના વિદેશ મંત્રી એલિના વાલ્ટોનેન સાથે આ ચર્ચામાં ભાગ લીધો અને પશ્ચિમી દેશોના બેવડા વલણ (ડબલ સ્ટાન્ડર્ડ) પર તેમને બરાબરના આડે હાથ લીધા. પરંતુ, આ વાતચીત દરમિયાન જયશંકરના એક નિવેદન પર એલિનાએ ખૂબ જ મજેદાર પ્રતિક્રિયા આપી હતી, જે અત્યારે વાયરલ થઈ રહી છે.

વિદેશ મંત્રી જયશંકર અને ફિનલેન્ડના વિદેશ મંત્રી એલિના વાલ્ટોનેન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી, ત્યાર બાદ બંને નેતાઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એલિના વાલ્ટોનેને મજાકિયા અંદાજમાં કહ્યું કે બંને દેશોએ ઘણા કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેના પર જયશંકરે હસતાં હસતાં જવાબ આપ્યો કે "તમારે એવું નહોતું કહેવું જોઈતું." તેમની આ હાજરજવાબી સાંભળીને વાલ્ટોનેન પહેલાં તો થોડા ચોંકી ગયા અને પછી હસી પડ્યા. તેમની આ પ્રતિક્રિયા તરત જ કેમેરામાં કેદ થઈ ગઈ અને વાયરલ થઈ ગઈ.

તમને જણાવી દઈએ કે જયશંકરનો આ પ્રવાસ એવા સમયે થયો હતો, જ્યારે સમગ્ર વિશ્વ યુદ્ધો, ઊર્જા સુરક્ષા, વૈશ્વિક વેપાર અને બદલાતા ભૂ-રાજકીય સમીકરણો જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે. ફિનલેન્ડ પહોંચ્યા પછી, જયશંકરે તેમના સમકક્ષ એલિના વાલ્ટોનેન સાથે વિગતવાર દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી, જેમાં સંરક્ષણ સહયોગ, ટેકનોલોજી, વેપાર, રોકાણ, ગ્રીન એનર્જી (હરિત ઊર્જા), ડિજિટલ ઇનોવેશન અને વૈશ્વિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને ફિનલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. ફિનલેન્ડ, ભારત સાથે આર્થિક અને તકનીકી (ટેકનોલોજીકલ) ભાગીદારી વધારવા ઈચ્છુક છે. બીજી તરફ, ભારત પણ યુરોપ સાથે પોતાના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાની દિશામાં સતત કામ કરી રહ્યું છે.

બંને દેશોએ સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા, નવી ટેકનોલોજીની આપ-લે કરવા અને રોકાણને પ્રોત્સાહન આપવા પર સહમતિ દર્શાવી હતી. આ સિવાય વૈશ્વિક સપ્લાય ચેન, ઊર્જા સુરક્ષા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિરતા જેવા વિષયો પણ આ વાતચીતનો હિસ્સો રહ્યા હતા.