કાઠમંડુઃ નેપાળે ભારત અને ચીનના લીપુલેક પાસથી કૈલાશ માનસરોવર યાત્રા સંચાલન પર વાંધો ઊઠાવતા ડિપ્લોમેટિક પ્રેસનોટ જાહેર કરી, નેપાળનો દાવો છે કે, લીપુલેક, કાલાપાની અને લિમ્પિયાધુરા નેપાળનો એક ભાગ છે. આ વિસ્તારમાં કંઈ પણ ગતિવિધિ થશે તો નેપાળ વાંધો ઊઠાવશે.કૈલાશ માનસરોવર યાત્રા આગામી સમયમાં શરૂ થવાની છે. આ માટેની પ્રક્રિયા ભારતમાં શરૂ થઈ ચૂકી છે. આ સમયમાં નેપાળમાંથી આવા વાવડ સામે આવતા કૈલાશ યાત્રા એ જતા ભાવિકોની ચિંતા વધી છે.
પત્ર લખીને કરવામાં આવી વાત
નેપાળના વિદેશમંત્રીએ એવી જાણકારી આપી હતી કે, ભારત અને ચીન બન્નેને સત્તાવાર એક પત્ર લખીને આ યોજનાનો વિરોધ નેપાળ દ્વારા કરવામાં આવી રહ્યો છે. મંત્રાલયના પ્રવક્તા લોકબહાદુર પૌડેલ ક્ષેત્રી અનુસાર નેપાળ સરકારે ભારત અને ચીન એમ બન્ને દેશને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલે પણ ફોન પર કહ્યું હતું કે, આ મુદ્દા પર રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ સરકારે આ પગલું લીધું છે. આ નિર્ણય માત્ર વિદેશ મંત્રાલયનો નથી, સંપૂર્ણ રાજકીય સહમતી થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા લોકબહાદુર ક્ષેત્રીએ કહ્યું કે, લીપુલેકના રસ્તે કૈલાશ માનસરોવરની યાત્રા આગળ ચલાવવા સામે અમને વાંધો છે. નેપાળની સ્પષ્ટ વાત છે કે, આ એમની જમીન છે. એમની મંજૂરી વગર એમનો કોઈ ઉપયોગ અહીં થઈ શકે નહીં.આ મુદ્દે સમગ્ર નેપાળ એક જ સૂરમાં વાત કરી રહ્યો છે.
નેપાળ સરકારનો દાવો
નેપાળ સરકારનો દાવો છે કે, સુગૌલી સંધીના હિસાબથી મહાકાલી નદીના પૂર્વમાં આવતા લિમ્પિયાધુરા, લીપુલેક અને કાલાપાનીનો સમગ્ર વિસ્તાર નેપાળનો છે. નેપાળ પોતાની આ વાતને લઈને અડગ છે. આ જગ્યા નેપાળના નક્શાનો અભિન્ન અંગ છે. નેપાળે પ્રેસનોટ જાહેર કરી છે જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે,નેપાળનું વલણ કેવું છે. ભારત અને ચીનને કુટનીતિક રસ્તો અપનાવ્યો છે.નેપાળની બાલેન સરકારનું એવું કહેવું છે કે, તેઓ અગાઉ પણ ભારત સરકારને કહી ચૂક્યા છે કે, આ વિસ્તારમાં રસ્તો બનાવવો, વ્યાપાર કરવો અથવા તીર્થયાત્રા જેવી કોઈ પણ વસ્તુ ન કરવામાં આવે. પણ વાત જ્યારે આગળ વધી તો નેપાળે વિરોધ નોંધાવ્યો છે.
આ વિવાદ ઘણો જૂનો છે, નેપાળ લીપુલેક અને કાલાપાની પર પોતાના દાવા કરે છે. આ વખતે બાલેન સરકારને દાવો કંઈક અલગ છે.અંદાજ કંઈક અલગ છે. હવે આ સરકારે ભારતની સાથે ચીનને પણ આ વિવાદમાં લઈ લીધો છે.નેપાળનું એવું કહેવું છે કે, આ વિસ્તાર સાથે જોડાયેલી સંવેદનાઓને બન્ને મોટા દેશોએ સમજવી જોઈએ, એ મોટા દેશ ભારત અને ચીન છે. હવે જ્યારે કૈલાશ માનસરોવરની યાત્રા શરૂ થશે તો નેપાળનો આ પ્રોટેસ્ટ નોટ કઈ બાજું ફંટાશે એ જોવાનું છે. હાલ તો નેપાળે આ વિસ્તારને પોતાનો વિસ્તાર કહી, પોતાની જમીન કહીને ભારતની સાથે ચીનનું ટેન્શન પણ વધારી દીધું છે.