Wed May 13 2026

Logo

સિંહસ્થ કુંભ મેળા માટે અખાડાદીઠ પાંચ કરોડ રૂપિયા, કુંભના સફળ આયોજન માટે ભંડોળની કોઈ કમી રહેવા દઈશું નહીં: દેવેન્દ્ર ફડણવીસ

2026-05-13 20:41:12
Author: Vipul Vaidya
Article Image

જો સરકારી કાર્ય માટે અખાડાની જમીન સંપાદિત કરવામાં આવે તો અખાડાઓને વળતર અથવા જમીન આપવાની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
નાસિક - ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળો મહારાષ્ટ્ર માટે સેવાનું એક મોડેલ બનાવવાની તક છે. અખાડાઓને બધી સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિ અખાડા પાંચ કરોડ રૂપિયાનું ભંડોળ, નાની સંસ્થાઓ માટે પ્રતિ સંસ્થા 15 લાખ રૂપિયા, ઓથોરિટી દ્વારા અખાડાઓના વીજળી બિલની ચુકવણી અને જો સરકારી કાર્ય માટે અખાડાની જમીન સંપાદિત કરવામાં આવે તો અખાડાઓને વળતર અથવા જમીનના રૂપમાં વળતર આપવાની જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કરી હતી. 

સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે યોજાયેલી સિંહસ્થ કુંભ મેળા સમીક્ષા બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે કુંભ મેળા માટે વિશ્ર્વભરમાંથી આવનારા સાધુઓ, મહંતો અને ભક્તોની સેવા કરીને કુંભ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા અજિત પવાર,અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળ, કુંભ મેળાના પ્રધાન ગિરીશ મહાજન, શાળા શિક્ષણ ખાતાના પ્રધાન દાદાજી ભૂસે, ઉદ્યોગ પ્રધાન ડો. ઉદય સામંત, જાહેર બાંધકામ પ્રધાન શિવેન્દ્રસિંહ રાજે ભોસલે અને અન્યો બેઠકમાં હાજર રહ્યા હતા.

બેઠકમાં કુંભ મેળાના સફળ આયોજન માટે સાધુઓ અને મહંતો દ્વારા આપવામાં આવેલા સૂચનો આવકાર્ય હોવાનું કહીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, સાધુઓ અને મહંતોએ થઈ રહેલા સારા કાર્યની પ્રશંસા કરી છે. તેમણે વધુ ઝડપથી અને અસરકારક રીતે કરવા જેવા કામનાં સૂચનો પણ આપ્યા છે. સાધુઓ અને મહંતોની બેઠકમાં થયેલી વિગતવાર ચર્ચાઓ કુંભ મેળાના સફળ આયોજનમાં ચોક્કસપણે મદદ કરશે. કુંભ મેળાની વ્યવસ્થા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

ફડણવીસે જણાવ્યું હતું કે આવતા વર્ષે યોજાનારા કુંભ મેળાનું આયોજન અને તૈયારી ફક્ત આ કુંભ મેળા માટે જ નહીં, પરંતુ આગામી 12 વર્ષ બાદ યોજાનારા કુંભ મેળા માટે પણ છે. એવી રીતે આયોજનનો અમલ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં આ કુંભ મેળા માટે બનાવેલા કામનો ઉપયોગ થઈ શકે તે દૃષ્ટિએ વિકસાવવામાં આવશે. કુંભ મેળાના પ્રસંગે નાસિક અને ત્ર્યંબકેશ્વર વિસ્તારોમાં કાયમી વિકાસ કાર્યો કરવામાં આવે તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ભવિષ્યમાં કુંભ મેળાનો વ્યાપ વિસ્તરશે, તેથી તે રીતે વ્યવસ્થાઓ નિર્માણ કરવામાં આવી રહી છે.

ત્ર્યંબકેશ્વર દેશમાં ખૂબ જ મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે. આ કુંભ મેળો ગોદાવરી નદીના સ્ત્રોતના પવિત્ર વિસ્તારમાં યોજાઈ રહ્યો છે. ત્ર્યંબકેશ્વર મંદિર વિસ્તારમાં એક કોરિડોર બનાવવામાં આવશે. આનાથી ભક્તોને ઘણી સુવિધા મળશે. ઉપરાંત, નાસિકમાં કુંડ, રામકાલ પથ, મંદિર, ગુફાનું નૂતનીકરણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર નાશિક અને ત્ર્યંબકેશ્વર વિસ્તારમાં આધ્યાત્મિક રીતે સમૃદ્ધ વાતાવરણ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કુંભ મેળા માટે આરોગ્ય વ્યવસ્થા માટે એક વ્યાપક યોજના પણ તૈયાર કરવામાં આવી છે. ફડણવીસે એમ પણ કહ્યું હતું કે અહીં આવનારા દરેક સાધુ, મહંત અને ભક્તને કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે.

અખાડા માટે ફાળવવામાં આવેલી જમીનના કેટલાક વિસ્તારોને મર્યાદિત કરવા પર ચોક્કસપણે વિચારણા કરવામાં આવશે. આ વખતના કાર્યક્રમમાં, આપણે બધા ગોદાવરી નદીનું સ્વચ્છ સ્વરૂપ પાછલા કુંભ મેળા કરતાં વધુ સ્વચ્છ જોઈશું. આ માટે મોટા પાયે કાર્ય કરવામાં આવી રહ્યું છે. કુંભ મેળામાં સુરક્ષા અંગે કોઈ સમાધાન ન કરવું: એકનાથ શિંદે ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળાના સફળ આયોજન માટે રાજ્ય સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે યોજાશે અને કહ્યું હતું કે આ કુંભ મેળાની સુરક્ષા અંગે કોઈ સમાધાન સહન કરવામાં આવશે નહીં. તેમણે અખાડાઓની સુરક્ષા, સુવિધાઓ અને માંગણીઓ અંગે પણ સૂચનાઓ આપી હતી. 

નાયબ મુખ્ય પ્રધાન શિંદેએ જણાવ્યું હતું કે અખાડાઓએ એવું વલણ અપનાવ્યું છે કે કુંભ મેળા દરમિયાન આવનારા ભક્તો કે સામાન્ય નાગરિકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. આ નિર્ણયનું સ્વાગત કરતા તેમણે કહ્યું હતું કે અખાડાઓ દ્વારા આપવામાં આવેલ સૂચન ખૂબ જ આવકાર્ય છે. આ કાર્યક્રમ બધાના સહયોગથી જ સફળ થશે. સરકારને સેવા કરવાની તક મળી છે અને સમગ્ર વહીવટીતંત્ર એક ‘ટીમ’ તરીકે કામ કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત સમર્થનથી, રાજ્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. મંદિરોનું પુનર્નિર્માણ અને ધાર્મિક સ્થળોનો વિકાસ અમારી પ્રાથમિકતા છે. હાલમાં કુંભ મેળા માટે 377 એકર જમીન અનામત રાખવામાં આવી છે. જોકે, અખાડાઓએ વધારાની જમીનની માગણી કરી છે અને સરકાર તેના અંગે સકારાત્મક છે. કુંભ મેળા માટે ભંડોળની કોઈ અછત રહેશે નહીં. તેમણે એવી પણ ખાતરી આપી હતી કે ભક્તોની સુવિધા અને માળખાકીય સુવિધાઓ માટે તાત્કાલિક તમામ જરૂરી ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બધી સુરક્ષા એજન્સીઓએ એકબીજા સાથે સંકલન કરીને કામ કરવું જોઈએ જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ભીડના આયોજન અને કટોકટી વ્યવસ્થાપન માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ઉલ્લેખ કર્યો હતો કે કુંભ મેળાના આયોજનમાં ક્યાંય પણ ખામી ન રહે તેનું સરકાર ધ્યાન રાખી રહી છે. કુંભ મેળા ઓથોરિટીના કમિશનર શેખર સિંહે આ પ્રસંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ બેઠકમાં નાણાં વિભાગના મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલ, મુખ્ય સચિવ ઓ. પી. ગુપ્તા, નાસિકના વિભાગીય કમિશનર પ્રવીણ ગેડામ, નાસિકના વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, 13 અખાડાઓના મહંતો અને સાધુઓ હાજર રહ્યા હતા. અખાડાઓના મહંતોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. બેઠકની શરૂઆતમાં, ત્ર્યંબકેશ્વર ખાતે મંદિરના દર્શન પથનું ઇ-ભૂમિ પૂજન કરવામાં આવ્યું.


ત્ર્યંબકેશ્વર દર્શન પથ પ્રોજેક્ટ
 

  1. કુલ ખર્ચ: 665 કરોડ રૂપિયા.
     
  2. અવિરત દર્શન માટે એક તરફી માર્ગની વ્યવસ્થા.
     
  3. તબક્કાઓ: પ્રથમ તબક્કો 275 કરોડ, બીજો તબક્કો 390 કરોડ.
     
  4. 9,000 ભક્તોની ક્ષમતા ધરાવતું ‘શિવ દર્શન સંકુલ’, એર-કન્ડિશન્ડ હોલ અને એલઈડી સ્ક્રીનની સુવિધા.
     
  5. પાંચ મિનિટમાં ઇમરજન્સી એક્ઝિટ ક્ષમતા અને એઆઈ-આધારિત ભીડનું વ્યવસ્થાપન.
     
  6. કાળા પથ્થરમાં પરંપરાગત મરાઠા શૈલીનું બાંધકામ.
     
  7. શહેરમાં ટ્રાફિક ભીડમાં 80 ટકા ઘટાડો અને સ્થાનિક વિક્રેતાઓનું પુનર્વસન.