નાશિક: મહારાષ્ટ્રના નાશિક અને માલેગાંવ મનપાએ ગુરુવારે રામ નવમી નિમિત્તે કતલખાના બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પાલિકાએ જણાવ્યું છે કે આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નાશિક નગર નિગમ વિસ્તારમાં આવેલા તમામ કતલખાનાઓ 26 માર્ચે શ્રી રામ નવમી નિમિત્તે બંધ રહેશે. તે દિવસે કોઈએ પણ પ્રાણીઓની કતલ ન કરવી જોઈએ, એમ પાલિકાએ બુધવારે જારી કરેલા આદેશમાં જણાવ્યું છે.
એ જ રીતે, નાશિકમાં માલેગાંવ પાલિકાએ પણ ગુરુવારે સવારે પાંચ વાગ્યાથી મધ્યરાત્રિ સુધી માંસ વેચતા તમામ કતલખાનાઓ, દુકાનો અને હોટલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર શાંતિ જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
માલેગાંવ મનપાએ આ વર્ષે 12 ‘નો-કતલ’ દિવસ જાહેર કર્યા છે, જેમાં 31 માર્ચે મહાવીર જયંતિ અને 1 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાનો સમાવેશ થાય છે. આવી જ રીતે ભીવંડી મનપામાં પણ રામ નવમી અને મહાવીર જયંતીએ કતલખાના બંધ રાખવા જણાવવામાં આવ્યું છે.