Tue May 05 2026

Logo

રોહિતનુું પુનરાગમન ફળ્યું: મુંબઈ ઈન્ડિયન્સની જીત

2026-05-05 00:04:51
Author: VIPUL VAIDYA
Article Image

IPL


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની વાનખેડેમાં સોમવારે રમાયેલી મેચમાં રોહિત શર્માનું ટીમમાં પુનરાગમન મુંબઈ ઈન્ડિયન્સને ફળ્યું હતું અને તેણે લખનઊ સુપર જાયન્ટ્સને છ વિકેટે આઠ બોલ બાકી રહેતાં હરાવ્યું હતું. ઓપનિંગમાં રોહિત શર્માના 44 બોલમાં 84 અને ર્યાન રિકલટનના 32 બોલમાં 83ની મદદથી મુંબઈએ એલએસજી દ્વારા આપવામાં આવેલા 229ના લક્ષ્યાંકને સાધ્ય કર્યું હતું. મનીમરન સિદ્ધાર્થે બે ઓવરમાં ઝૂડાયા બાદ બે વિકેટ (રોહિત શર્મા અને તિલક વર્મા) લઈને થોડો રોમાંચ લાવી દીધો હતો.

આજે પહેલા બેટિંગ કરવા ઉતરેલી એલએસજીના માર્શની સાથે જોશ ઇંગ્લિસના રૂપમાં એક નવો ઓપનિંગ પાર્ટનર હતો. તેઓએ સકારાત્મક શરૂઆત કરી હતી પરંતુ ગઝનફરે ઇંગ્લિસની ઇનિંગ્સને ટૂંકી કરી દીધી. ગઝનફરે આ વિકેટની સાથે હરભજનસિંહને વિક્રમ પોતાને નામે કર્યો હતો. ગઝનફરની મુંબઈ માટે પાવરપ્લેમાં આ છઠી વિકેટ હતી. આ પહેલાં હરભજન સિંહની પાવર પ્લેમાં પાંચ વિકેટો હતી.


આ સિઝનમાં પહેલી વાર પૂરનને ત્રણ નંબર પર મોકલવામાં આવ્યો હતો અને તેણે 16 બોલમાં ફિફ્ટી ફટકારીને જોરદાર પ્રદર્શન કર્યું. એલએસજીએ 8મી ઓવરમાં 123/1 સુધી દોડ લગાવી હતી, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સના કોર્બિન બોશે બંને સેટ બેટ્સમેન - પૂરન અને માર્શ - ને એક જ ઓવરમાં આઉટ કર્યા અને એમઆઈ બ્રેક લગાવવામાં સફળ રહી હતી. 123/1 થી, એલએસજી 13મી ઓવરમાં 160/5 પર પહોંચી ગઈ હતી.

જોકે, ત્યારબાદ મેદાનમાં આવેલા હિંમત સિંહ અને એડન માર્કરામે હાથ મિલાવ્યા. તેઓ બ્લોકમાંથી બહાર નીકળવામાં ઝડપી નહોતા પરંતુ તેઓ સ્પિનરો સામે બે ઓવરમાં મોટો સ્કોર કરવામાં સફળ રહ્યા, પરંતુ એમઆઈ છેલ્લી ત્રણ ઓવરમાં તેમને બાંધી રાખવામાં સફળ રહ્યું. ચહરે યોર્કર્સનો મારો ચલાવ્યો હતો અને બુમરાહે પોતાની વિવિધતાઓનો ઉપયોગ કર્યો કારણ કે બંનેએ છેલ્લી ત્રણ ઓવરમાં ફક્ત 22 રન આપ્યા હતા.      
---