મુંબઈ: સોશિયલ મીડિયા પર સતત ચોંટેલાં રહેતાં સંતાનો પર નજર રાખવાની સલાહ આપી એટીએસે વાલીઓને અપીલ કરી હતી કે તેમના વર્તનમાં ફેરફાર જણાય અથવા શંકાસ્પદ લાગે તો તરત પોલીસનો સંપર્ક સાધવો.
દેશની આંતરિક સુરક્ષા અને ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે એટીએસે યુવાનોને સલાહ આપી છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ અજાણી વ્યક્તિ અથવા શંકાસ્પદ વ્યક્તિનો સંપર્ક ટાળવો. ઓછી મહેનતે વધુ નાણાં પ્રાપ્ત કરનારી અથવા કોઈ પણ ગેરકાયદે કામો માટે આપવામાં આવતી ઑફર્સને સ્વીકારવી નહીં. અજાણી વ્યક્તિ દ્વારા ચીંધવામાં આવેલું કોઈ પણ નાનું-મોટું કામ આતંકવાદી કૃત્યનો ભાગ હોઈ શકે છે. આ બાબત યુવાનોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી હોવાનું એટીએસનું કહેવું છે.
વાલીઓએ પણ સંતાનોની સોશિયલ મીડિયા પરની ઍક્ટિવિટી પર નજર રાખવી જોઈએ. ઈન્ટરનેટનો ઉપયોગ કયા ઉદ્દેશથી કરવામાં આવી રહ્યો છે તેનું ધ્યાન રાખવું. સંતાનોનું વર્તન અચાનક બદલાયેલું જણાય કે શંકાસ્પદ જણાય તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો, જેથી સંતાનને આડે રસ્તે જતાં રોકી શકાય, એવી અપીલ એટીએસે કરી છે.