મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર મુંબઈ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંચાલિત ટ્રાફિક વ્યવસ્થાપન પ્રણાલી માટેની યોજના પર કામ કરી રહી છે અને તેના માળખા અને અમલની સમીક્ષા કરવા માટે ટૂંક સમયમાં એક બેઠક બોલાવવામાં આવશે, એમ રાજ્યના આઈટી ખાતાના પ્રધાન આશિષ શેલારે શનિવારે જાહેરાત કરી હતી.
ભાજપના વિધાનસભ્ય મુરજી પટેલે અંધેરીમાં ગંભીર ટ્રાફિક જામનો મુદ્દો પોઈન્ટ ઓફ ઓર્ડર દ્વારા ઉઠાવ્યા બાદ રાજ્ય વિધાનસભામાં આ મુદ્દો ચર્ચા માટે આવ્યો હતો. કોંગ્રેસના વિધાનસભ્ય અસલમ શેખે નોંધ્યું હતું કે શહેરમાં નો-એન્ટ્રી રસ્તાઓ પર ખોટી દિશામાં વાહનો ચલાવવાથી ટ્રાફિક જામ અને અકસ્માતોમાં વધારો થયો છે, જ્યારે શિવસેના યુબીટીના વરુણ સરદેસાઈએ ખાસ કરીને બીકેસી, કલા નગર, કુર્લા-સાંતાક્રુઝ લિંક રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે વિસ્તારોમાં ટ્રાફિક જામ અને અકસ્માતોમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.
આ ચિંતાઓનો જવાબ આપતા, શેલાર, જે મુંબઈના પાલક પ્રધાન પણ છે, તેમણે જણાવ્યું હતું કે તાજેતરની જિલ્લા આયોજન સમિતિની બેઠક દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને તાત્કાલિક કાર્યવાહી માટે સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક)ને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુંબઈમાં ટ્રાફિક પ્રવાહને સુવ્યવસ્થિત કરવા અને અમલીકરણ કરવા માટે એક વ્યાપક એઆઈ-સંચાલિત ટ્રાફિક વ્યવસ્થાપન યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે શહેરના રસ્તાઓ પર પાર્ક કરાયેલા ત્યજી દેવાયેલા અને ભંગાર વાહનોની સમસ્યાને પ્રાથમિકતા તરીકે ઉકેલવામાં આવશે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ પહેલેથી જ કાર્યવાહી શરૂ કરી છે.