Mon Sep 07 2026

Logo

મધ્ય રેલવેના ઘાટકોપર સ્ટેશને હાઈવોલ્ટેજ ડ્રામાઃ પ્રવાસી ટ્રેન પર ચઢ્યો અને....

2026-08-18 20:22:55
Author: Mumbai Samachar Team
મધ્ય રેલવેના ઘાટકોપર સ્ટેશને હાઈવોલ્ટેજ ડ્રામાઃ પ્રવાસી ટ્રેન પર ચઢ્યો અને....

મુંબઈ: મધ્ય રેલવેના ઘાટકોપર રેલવે સ્ટેશનના આજે સાંજે એક ગંભીર દુર્ઘટના બની હતી. ઘાટકોપર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર એક મુસાફર ટ્રેનની છત પર ચડી જતા ગંભીર દુર્ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, સાંજે 6:33 વાગ્યાની આસપાસ મુસાફર ઓવરહેડ ઈલેક્ટ્રિક વાયરલાઈનના સંપર્કમાં આવતા ગંભીર રીતે દાઝ્યો હતો. ઘટનામાં તેની પીઠ પર ગંભીર ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના બનતા જ ટ્રેનના મોટરમેને તાત્કાલિક પેન્ટોગ્રાફ નીચે કરી દીધો હતો. ત્યારબાદ સ્ટેશન પર હાજર સુરક્ષા કર્મચારીઓએ ટ્રેનની છત પરથી મુસાફરને નીચે ઉતાર્યો હતો. રેલવે કર્મચારીઓ અને સુરક્ષા સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. મુસાફરની ઓળખ અને હાલત અંગે વધુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ ઘટનાની અસર ઘાટકોપરથી સાંજે 6:22 વાગ્યાની ટિટવાલા ફાસ્ટ લોકલ પર પડી હતી. ઘટનાને કારણે ટ્રેનને ઘાટકોપર સ્ટેશન પર રોકી રાખવામાં આવી હતી અને તેને આગળ જવામાં વિલંબ થયો હતો. મળતી માહિતી મુજબ, ટ્રેન આખરે સાંજે 6:52 વાગ્યે ઘાટકોપરથી રવાના થઈ હતી.

ઘટનાએ ફરી એકવાર મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને ટ્રેનની છત પર ચડવું અત્યંત જોખમી છે, કારણ કે ઓવરહેડ વાયરલાઈનના સંપર્કમાં આવતા ગંભીર અથવા જીવલેણ અકસ્માત થઈ શકે છે. 

અહીં એ જણાવવાનું કે મધ્ય રેલવેમાં રોજના 40 લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરે છે, જ્યારે સૌથી વધુ લોકો પીકઅવર્સમાં મુસાફરી કરે છે. મુંબઈ રેલવેમાં પીકઅવર્સમાં ટ્રેનો ખોટકાવવાને કારણે સૌથી વધુ ટ્રેનના ટાઈમટેબલ પર અસર પડે છે. ટાઈમટેબલ ખોટકવાને કારણે પ્રવાસીઓની અવરજવર પર સૌથી વધુ અસર થતી હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું.