Mon May 25 2026

Logo

મોદી કેબિનેટની આજે મહત્વની બેઠકઃ મિનિ લોકડાઉન લદાશે એવી અટકળો, જાણો બીજું શું શું થઈ શકે?

2026-05-21 10:14:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ વિદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહત્વની બેઠક બોલાવી છે. મિનિ લોકડાઉન લદાશે એવી અટકળો થઈ રહી છે. આ ઉપરાંત તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને દિલ્હીમાં જ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેબિનેટ વિસ્તરણની અટકળો વચ્ચે આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

શું છે બેઠકનો એજન્ડા
પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં પશ્ચિમ એશિયા સંકટ અને તેના આર્થિક પ્રભાવનો ઉલ્લેખ થઈ શકે છે. તેમજ તેઓ મંત્રાલયો અને વિભાગોને નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપી શકે છે. સૂત્રો મુજબ બેઠકમાં ઉર્જા, કૃષિ, રસાયણ, શિપિંગ અને લૉજિસ્ટિક્સ જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપી શકાય છે.

આ બેઠકનો મુખ્ય એજન્ડા કેબિનેટ વિસ્તરણ છે. ઉપરાંત મંત્રીઓના કામકાજના રિપોર્ટ પર પણ ચર્ચા થશે. મીડિયા રિપોર્ટ અનુસાર, અનેક સામાજિક યોજનાઓ લાગુ કરવા અને તેનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચાડવા પર ચર્ચા થઈ શકે છે.

આગામી 10 જૂને મોદી સરકાર 3.0 ના શાસનનું એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ પૂર્વે જૂનના બીજા સપ્તાહમાં કેબિનેટમાં બહુ મોટો ફેરબદલ અથવા વિસ્તરણ જોવા મળી શકે છે. આજે યોજાનારી આ હાઈ-લેવલ બેઠકને આગામી કેબિનેટ વિસ્તરણની પૂર્વતૈયારી અને મંત્રીઓના રિપોર્ટ કાર્ડની સમીક્ષા સાથે જોડીને જોવામાં આવી રહી છે.

 આ ઉપરાંત બેઠકમાં સામાન્ય લોકોના ફાયદા માટે તમામ ક્ષેત્રોમાં સુધારા લાવવાની સરકારની પ્રાથમિકતા પર પણ ચર્ચા થવાની શક્યતા છે. વડા પ્રધાને આ પહેલાં આગામી 10 વર્ષો માટે સુધારાની પ્રાથમિકતાઓની રૂપરેખા રજૂ કરતા કહ્યું હતું કે તેમની સરકારની રિફોર્મ એક્સપ્રેસ વ્યવસ્થાગત પરિવર્તનો લાવી છે અને સામાન્ય નાગરિકોને મોટા પ્રમાણમાં લાભ પહોંચાડ્યો છે. આ બેઠક પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની ભવ્ય જીત બાદ યોજાઈ રહી હોવાથી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.